ગાંધીનગરના મેદરામાં હુમલાની ઘટનાથી દોડધામ : 3 યુવાનો પર 2 શખ્સોનો હુમલો
ગુનાખોરીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યુ છે. ગુનાહિત તત્વોને કાયદાનો જાણે કોઈ ડર જ નથી રહ્યો. જાહેરમાં મારામારીના બનાવો છાશવારે સામે આવી રહ્યા છે. જેને લઈને શહેરની કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે ગાંધીનગરના મેદરામાં બે યુવાનોએ 3 શખ્સો પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જાહેરમાં હુમલો થતાં સ્થાનિક લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.
ગાંધીનગરના મેદરા ખાતે રહેતા નિલેશકુમાર પ્રભાતજી ગોહિલ તેમના મોટા બાપુજી જખાજી ડાહ્યાજી તથા તેમના નાનુભાઈ જયેશભાઈ ઘરે વાતચીત કરતા હતા તે દરમિયાન તેમના કુટુંબી બાપુજી ઉદાજી પુનાજી ગોહિલ તથા તેમનો ભાણો શંકર ભીખાજી ઠાકોર આવેલ અને કહેવા લાગ્યા હતા કે અમારી જગ્યામાં સંડાસ કેમ બનાવ્યું છે તોડી નાખજો તેમ કહી જેમ મન ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા અને ઝપાઝપી કરી લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદી ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ નિલેશકુમાર પ્રભાતજી ગોહિલે ડભોડા પોલીસ મથકમાં ઉદાજી પુનાજી ગોહિલ તથા શંકર ભીખાજી ઠાકોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
