रोगों को फुर्सत कहां, दें आकर संत्रास,
पता लगा कर पहुंचते,हैं हम उनके पास.
उमेश श्रीवास्तव.

April 27th, 2024

ઘણા વર્ષ પહેલાં આદરણીય ગુણવંત શાહનો બહુચર્ચિત પુસ્તક ‘મરો ત્યાં સુધી જીઓ’ વાંચ્યા પછી મે આ પંક્તિઓ લખેલી.એ વખતે મને ખબર ન હતી કે આ પંક્તિઓ હુ મારા માટે લાઞુ પાડીશ.અત્યારે આ સાવ જ નિરાંતની ક્ષણોમા એક ઘટનાનુ સ્મરણ થાય છે જેમાં લાયન્સ ક્લબ ઑફ સાણંદ યૂનિટે ગુજરાત અને રાષ્ટ્રના જાણીતા વિદ્વાન કે.કા.શાસ્ત્રીને સાણંદ ના વરિષ્ઠ નાગરિકોના એક સમારોહ માં આમંત્રણ આપેલુ ત્યારે શાસ્ત્રીજીએ એક વર્ષ પહેલાં પોતાના જીવનના એકસો વર્ષ પૂરાં કરી લીધા હતાં.
પોતાના દીર્ઘ વક્તવ્ય દરમિયાન માઇક ના ઉપયોગ વગર, વચ્ચે એક વાર પણ પાણી પીધાં વિના ધારા પ્રવાહ બોલતા રહ્યા. એમના વિધાનોની સરખામણી તો રત્ન કણિકાઓ ની સાથે જ થઇ શકે. એમણે કહ્યું કે જે દિવસે તમને તાવ આવે, શરીર કે માથું દુઃખે, શર્દી અથવા ઉધરસ થી પીડાવ તો સમજી જજો કે એ દિવસ પૂરતું જીવતા ન આવડ્યું. કુદરત કોઈ પણ અપવાદ વિના દરેક વ્યક્તિ ને સો વર્ષ ની ગેરંટી સાથે અન્ગ ઉપાન્ગો આપે છે. આપણા શારીરિક સ્વાસ્થ્ય નો આધારસ્તમ્ભ તો આપણી જીવન શૈલી છે, જેમાં આપણું આહાર,વિહાર, શારીરિક શ્રમ,સ્વભાવ, ભાવનાઓ અને લાગણીઓનો સમાવેશ થાય છે.
આત્મવિશ્વાસ ઇચ્છનીય હોઈ શકે પણ એનો અતિરેક સંકટને નોતરી શકે છે જે મે સાકાર કરી બતાવ્યું. સત્તરમી એપ્રિલ રામનવમી ના દિવસે હુ હંમેશ ની જેમ વિશ્વગ્રામ જવા માટે મહેસાણા થી વિસનગર રોડ પર આવેલ આશ્રમ જવા બાઈક પર નીકળી પડ્યો. સામાન્ય રીતે હુ હેલ્મેટ માથા પર રાખુ છું પરંતુ સંજોગોવશાત એના વગર મારે જવું પડ્યુ. પણ હુ રસ્તામાં જરુર ખરીદી લઈશ એવા નિર્ધાર સાથે.
હુ સવારે છ વાગ્યે નીકળી સાડા નવ વાગે સ્થળ પર પહોંચી, સમયસર સમારોહ પૂર્ણ કરી ભોજન કર્યા પછી બપોરે બે વાગ્યે હેલ્મેટ વગર બાઇક પર સાણંદ આવવા નીકળી પડ્યો. હું દૂધસાગર ડેરીની સામે આવેલ ‘સહયોગ’ સ્ટોર પર એક કલાક રોકાઈને સાણંદજવા નીકળી પડ્યો. ભયંકર લૂ અને પ્રચંડ ગરમી માં શંકુ વોટર પાર્ક ની સામે આવેલી જનપથ હોટલમાં મેં એક થી પોણા બે કલાક સુધી આરામ કર્યો. આ રીતે હું લગભગ સાડા સાત વાગ્યે ઘરે પહોંચ્યો, જ્યાં ઉપર વર્ણવેલ સંકટ મારી રાહ જોતો હતો.
ઘરે પહોંચતાની સાથે જ મારા નાના પૌત્રને બાઈક પર બેસાડી સોસાયટી ના બે આંટા માર્યા, ત્યારબાદ ફ્રેશ થઇ હું આડો પડ્યો. અચાનક છાતીમાં બળતરા શરુ, થોડી બેચેની પણ, ટોયલેટ જવા ઉપડ્યો અને પરસેવાની પણ શરૂઆત થઇ ગઈ. પેટમાં પાણી થઇ ગયું જાણે કે ડાયરિયા. લક્ષણો પર થી બધાને ખબર પડી ગઈ. તત્કાલ મારા મોટા પૌત્રએ પોતાના પપ્પા એટલે કે મારા પુત્ર અભિષેક ને ફોન કરીને બોલાવ્યો અને અવિલંબ મને સાણંદ ની જનતા હોસ્પીટલમાં અને ત્યારપછી ત્યાના તબીબોની સમયસૂચક અને ચિંતિત કરનાર સલાહ સૂચન મુજબ અમદાવાદની જીવરાજ મેહતા હોસ્પીટલમાં અમે પહોંચી ગયા જ્યાં ડૉ. હિતેષ પટેલ પહેલાથી જ હાજર હતા અને I.C.C.U માં બધી તૈયારી કરવાની સૂચના આપી દીધી હતી.
જીવરાજ મહેતા હોસ્પીટલમાં I.C.C.U વિભાગમાં ત્રણ દિવસ અને એક દિવસ જનરલ વોર્ડ માં મને ટ્રીટમેન્ટ આપીને ત્યાના તબીબોએ અને ખાસ કરીને લોંગલાઈફ હોસ્પીટલના ડૉ. હિતેષ પટેલ સરે ખૂબ જહેમત ઉઠાવીને મને જોખિમ મુક્ત અને ચિંતા મુક્ત કર્યો. હોસ્પીટલના સ્ટાફના સદ્વ્યવહાર થી મને સ્વસ્થ થવામાં ખૂબ મદદ મળી.
મારો નાનો ભાઈ ગીરીશ શ્રીવાસ્તવ અને નાના પુત્ર રાહુલ શ્રીવાસ્તવ (સંતરામપુર) સિવાય કોઈને પણ માંદગીની જાણકારી કે સમાચાર આપ્યા ન હતા જેના માટે હું મારા બધા સ્વજનોની માફી માંગુ છું. અત્યારે હું ઘરે છું. સંપૂર્ણ આરામની સલાહ ડોકટરે આપી છે. પ્રાર્થના કે શુભેચ્છાઓ માટે શબ્દોની કે રૂબરૂ મળવાની પણ જરૂર હોતી નથી. અન્તર્મન માંથી નીકળતી દુઆ અવશ્ય અન્તર્મન સુધી પહોંચે છે. આભાર ની લાગણી સહ

ઉનાળું વેકેશન: બાળકો માટે જીવનના નવા આયામો આંબવાનો ઉત્તમ અવસર

April 27th, 2024

એપ્રિલ માસની શરૂઆતથી જ સમગ્ર ગુજરાતમાં ઉનાળો તેના પ્રાકૃતિક સ્વભાવ મુજબની કાળઝાળ ગરમીનો અહેસાસ કરાવી રહ્યો છે; ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ૬ મે થી ૯ જુન સુધી શાળાઓમાં ઉનાળું વેકેશન જાહેર કર્યું છે. આખું વર્ષ શિક્ષણકાર્યમાં ઓતપ્રોત રહ્યા બાદ બાળકોને ૩૫ દિવસ સુધી અધિકૃત રીતે શિક્ષણકાર્ય અને શાળામાંથી મુક્તિ મળશે. મે માસના વેકેશનના આ સમયગાળામાં અનેક બાળકો મામા- માસીના ઘરે કે વતનમાં બા-દાદાના ઘરે જતા હોય છે અને માટે જ ઘણીવાર મે માસને “મામા-માસીના મહિના”ના હુલામણા નામે પણ ઓળખવામાં આવે છે. તો આજે થોડી વાતો ઉનાળું વેકેશન અને “મામા-માસીના મહિના” વિષે.
સતત સ્પર્ધાના ત્રાજવે તોલતી સાંપ્રત શિક્ષણ વ્યવસ્થામાં મહદઅંશે બાળકોના જીવન ઘર થી શાળા અને ટ્યુશન ક્લાસ (જેને માટે આજકાલ કોચિંગ શબ્દ પ્રચલિત થયો છે) પૂરતા માર્યાદિત અને યંત્રવત બની ગયા છે. તેમાં પણ મોબાઈલ અને ઇન્ટરનેટના વધતા જતા ઉપયોગને કારણે ઘરની બહાર જઈને શારીરિક શ્રમ થાય તેવી રમતો રમતા બાળકો હવે જવ્વલે જ જોવા મળે છે. ઘણીવાર બાળક ઘરની બહાર જઈને તેના મિત્રો સાથે રમતો રમવા ઈચ્છતા હોવા છતાં માં-બાપ દ્વારા ઉભું કરવામાં આવેલું અભ્યાસ માટેનું દબાણ બાળકોને ઘર પુરતું સિમિત રહેવા માટે મજબૂર કરી દેતું હોય છે. ધોરણ ૯ અને ૧૧ ની પરીક્ષા આપેલ બાળકોને આગામી વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ ની તૈયારી કરવાની હોય તેવી સ્થિતિમાં વેકેશનમાં જ શાળા અને ટ્યુશનનો અભ્યાસ શરુ થઇ જાય તે વાત અમુક અંશે સમજી શકાય તેમ છે. પરંતુ હવે તો મોટા ભાગની ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા તમામ બાળકોને ઉનાળું વેકેશનના નામે એકાદ અઠવાડિયાની રજા આપીને તરત જ રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય શરુ કરી દેવામાં આવતું હોય છે. સાથેસાથે તેઓ આમ કરવાનું ગર્વ લેતા હોય છે કે અમારી શાળામાં વેકેશન દરમિયાન પણ શિક્ષણ કાર્ય ચાલુ જ હોય છે. તો કેટલાક વાલીઓ પણ તેમના બાળકોને હોંશભેર ઉનાળું વેકેશન દરમિયાન શાળા અને ટ્યુશન ક્લાસમાં મોકલતા હોય છે. આ સ્થિતિમાં બાળકો માટે ઉનાળું વેકેશન શા માટે જરૂરી છે તે સમજવું ખૂબ જ જરૂરી બની જાય છે.
બાળકના સર્વાંગી વિકાસ માટે વેકેશનનું આગવું મહત્વ છે. બાળ અધિકારો મુજબ દરેક બાળકને શિક્ષણ મળે અને દરેક વિદ્યાર્થીને વેકેશન મળે તે તેના વિકાસના અધિકારનો હિસ્સો છે. વર્ષ દરમિયાન ચાલતા સતત શૈક્ષણિક અભ્યાસના કાર્યમાંથી વેકેશન દરમિયાન મળતી રાહત બાળકના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ખુબ જ જરૂરી છે. વેકેશન દરમિયાન બાળકો ઘર બહારની રમતો થકી તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થયને તો મજબૂત કરે જ છે તેની સાથેસાથે નવા મિત્રો સાથે તેમના સંબંધો કેળવાય છે. નવી નવી રમતો થકી બાળકોમાં અજાણતા જ સમસ્યા સમાધાન, રચનાત્મક વિચારશીલતા, યોગ્ય અને અયોગ્યની પરખ અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થાય છે. મામા-માસીના ઘરે કે અન્ય કોઈ સગાં સંબધીને ત્યાં વેકેશનની રજાઓ માણવા જતા બાળકોને નવા વાતાવરણનો અહેસાસ થાય છે. સાથેસાથે આ સ્થિતિમાં બાળકો નવા મિત્રો સાથેની ચર્ચાઓમાં કોઈ ચોક્કસ વિષય કે બાબતને લઈને અલગ અલગ દ્રષ્ટિકોણને માન આપતા તથા પોતાના મતને મિત્રો સમક્ષ યોગ્ય રીતે રજૂ કરતા શીખે છે.
અગાઉ ઉલ્લેખ કર્યો તેમ ઉનાળું વેકેશન દરમિયાન બાળકો સગાં સંબંધીઓ અને તેમાં પણ ખાસ કરીને મામા-માસીના ઘરે કે વતનમાં રાજાઓનો મજા માણવા જતા હોય છે ત્યારે આ સ્થિતિમાં બાળકો પરિવારના અન્ય સભ્યો સાથે આત્મીયતા કેળવતા થાય છે. જેના પરિણામ સ્વરૂપે બાળકો અને પરિવારના સભ્યો વચ્ચેનો પારસ્પરિક સંબંધ મજબૂત બને છે. ખાસ કરીને કિશોરાવસ્થાના બાળકો ઘણીવાર કેટલીક વાતો કે તેમના મનની મૂંઝવણો અંગેની ચર્ચા માતા પિતા સાથે કરવામાં શરમ સંકોચ અનુભવતા હોય તેવી સ્થિતિમાં આ પ્રકારની ચર્ચા વેકેશન દરમિયાન બાળકો તેમના જ પરિવારના અન્ય સમવયસ્કો કે પિતરાઈઓ સાથે ખુલ્લા મને કરી મનનો ભાર હળવો કરતા હોય છે.
ઉનાળું વેકેશન બાળકો માટે પોતાના શોખને વિકસાવવામાં પણ મદદરૂપ સાબિત થતું હોય છે. રમતગમતમાં રસ ધરાવતા બાળકોને જે તે રમતના કોચિંગ ક્લાસમાં મોકલી શકાય, વાંચન-લેખનમાં રસ ધરાવતા બાળકોને સામયિકો, વર્તમાનપત્રો વાંચવાનો શોખ કેળવવામાં મદદરૂપ થઇ શકાય. પુસ્તકાલય અને લેખક કે કવિ સાથેની મુલાકાત પણ કરાવી શકાય, સેવાના કાર્યોમાં રસ દાખવતા બાળકોને સ્વૈચ્છિક સંસ્થાઓમાં સ્વયં સેવક તરીકે જોડી શ્રમદાનનું મહત્વ સમજાવી શકાય છે. ફોટોગ્રાફી, સંગીત, નૃત્ય અને ચિત્રકળામાં રસ ધરાવતા બાળકોને આ અંગેના તાલીમ કાર્યક્રમો સાથે સાંકળી શકાય છે. વિજ્ઞાનમાં રસ ધરાવતા બાળકોને સાયન્સ સીટી અને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રની મુલાકાતે લઇ જઈ શકાય. તો પર્યાવરણ અને કુદરત સાથે બાળકોનું તાદાત્મ્ય કેળવવા માટે જંગલ, અભ્યારણ, નદી, સમુદ્ર, સરોવર અને પર્વતારોહણના પ્રવાસ અર્થે લઇ જઈ શકાય. ભાષા, સંસ્કૃતિ તથા ઐતિહાસિક અને ધાર્મિક વારસાની સમજણ કેળવવા બાળકોને વેકેશન દરમિયાન અલગ અલગ હેરિટેજ સ્થળો અને સ્થાપત્યોની મુલાકાતે લઇ જઈ શકાય છે. ઘરકામ અને રસોઈકામ માં રસ દાખવતા બાળકોને ઘરની સાફ-સફાઈ અને રસોઈ બનાવતા શીખવી શકાય.
આમ જોવા જઈએ તો ખરેખર વેકેશન દરમિયાન કરવામાં આવતી જુદી જુદી પ્રવૃત્તિ થકી ખૂબ જ સરળતાથી જાણી શકાય કે બાળક કયા વિષયના અભ્યાસમાં વધુ રૂચી ધરાવે છે અને તે મુજબ તેના આગામી શિક્ષણ અંગેનું આયોજન કરી શકાય છે. માટે, આપણે સૌએ બાળકોને ઉનાળું વેકેશન દરમિયાન શૈક્ષણિક બોજ નહિ આપતા; રમતોની મોજ કરાવી ખરા અર્થમાં તેમના જીવનમાં નવા આયામો આંબવાના અવસર પ્રદાન કરવા જોઈએ.
અંતમાં વેકેશનની મજા દર્શાવતી ગીતકાર અરવિંદ શેઠની રચના,
આહા આવ્યું વેકેશન, જુઓ રજાની મજા
શું શું લાવ્યું વેકેશન, આવી મજાની રજા
રજાની મજા, મજાની રજા, રજાની મજા
સાથે ભેરુઓની ટોળી
સાથે સખીઓની જોડી
એ તો ડુંગર ઉપર દોડી
ઉપર ટોચે જઇને લાગી દુનિયા જોવા
જો જો મમ્મી તો બોલાવે,પાછળ પપ્પાને દોડાવે
તો પણ આવીશ નહીં હું હાથમાં
અમે તો મુંબઇ જવાના
અને ચોપાટી ફરવાના
ભેળપૂરી ખાવાના
આખો દરિયો ડોળીને દૂર દેશ જવાના
આખો દરિયો ડોળીને દૂર દેશ જવાના
દૂર દેશ જઇ ભારતના ગુણ ગાવાના
આહા આવ્યું વેકેશન, જુઓ રજાની મજા
શું શું લાવ્યું વેકેશન, આવી મજાની રજા…

तू इधर उधर की न बात कर ये बता की काफिला क्यों लुटा, मुझे रहजनो से गिला नहीं तेरी रहबरी का सवाल है

April 14th, 2024

વર્તમાન સમયમાં આ શેર, શાસક પક્ષ માટે શત, પ્રતિશત લાગુ પડે છે. છેલ્લા દસ વર્ષોમાં આ શેરની પ્રાસંગિતામાં સતત ઇજાફો થઇ રહ્યું છે. યેનકેન પ્રકારે,સત્તા હાંસલ કર્યા પછી સરકારની તમામ કોશિશ રહી છે કે લોકોનું ધ્યાન જવલંત સમસ્યાઓ તરફ ભૂલે ચુકે પણ ન જવું જોઈએ આ પ્રકારની સમસ્યાઓમાં બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, આજીવિકાના પ્રશ્નો, સ્વાસ્થ્ય, શિક્ષણ અને પર્યાવરણ, તથા પ્રજાના દૈનિક જીવનની નાની મોટી સમસ્યાઓનો સમાવેશ થાય છે. ચૂંટણી દરમિયાન અર્બન અને શહેરી વિસ્તારોમાં તથા દૂરદરાજના ગામડાઓમાં લોકોને પડતી હાલાકી, જેમાં પ્રસૂતા માટે હોસ્પિટલ સુધી લઇ જવાના સાધનોથી માંડીને આદિવાસી વિસ્તારોના બાળકો માટે શાળાઓની અને ત્યાં સુધી પહોંચવા માટે વાહનોની સગવડો માટે કરેલા વાયદાઓ કયારે જુમલાઓમાં પરિવર્તિત થઇ જાય છે. લોકોને ખબર પણ પડતી નથી. આવા સળગતા પ્રશ્નો સામાન્ય નાગરિકના મગજમાં કોઈ પણ સંજોગોમાં ન આવે એની વ્યવસ્થા અને ખાસ તકેદારી સરકાર રાખે છે.
સળગતા પ્રશ્નોથી પ્રજા કેવી રીતે ઉદાસીન કે વિમુખ થાય, અથવા પ્રજાનું ધ્યાન કઈ કઈ બાબતોમાં પરોવીને ભટકાવી શકાય એ માટે કેટલાક વિભાગોને કાર્યરત કરી નાખ્યા . વિપક્ષી નેતાઓની છવિ અથવા ઇમેજ, ખરાબ કરવા માટે મીડિયાના લોકોને કામે લગાડી દીધા, જે રાત-દિવસ વિપક્ષના તમામ નેતાઓની પારિવારિક અને કેટલીક ખાનગી બાબતોની જાણકારી એકત્રિત કરીને દેશ અને દુનિયા સમક્ષ મૂકીને એમને અપમાનિત કરવાની શરૂઆત કરી દીધી, વિરોધીઓને ખતમ કરી નાખવાનો સરકારે, રીતિસર સિલસિલો શરુ કરી દીધો.
સરકારની નીતિઓ, કાર્યશીલ,અને વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉપસ્થિત કરનારને, જેલ ભેગા કરી દેવાયા. જેથી બહુ સ્વભાવિક રીતે વિરોધી દલોના નેતાઓ ભયભીત થઇ ગયા. સરકાર પણ એ જ ઇચ્છતી હતી. સરકારી પ્રતિષ્ઠાનો કે સાહસોના ખાનગીકરણ સામે જયારે કોઈ જર્નાલિસ્ટ કે વિરોધી નેતા અવાજ ઉઠાવતાની સાથે જ તેને ધાક, ધમકી, લોભ, લાલચ અને અંતે જેલ હવાલે.
કોઈ પણ સુસંસ્કૃત સંસ્કારી અને સુશિક્ષિત સમાજ જયારે લોકશાહી રીત-ભાતથી સરકારની પસંદગી કરે છે. ત્યારે સ્વાભાવિક રીતે પાર્ટી દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારો કેવાં છે. એમનો ઇતિહાસ કેવું છે? સામાજિક જીવન કેવું છે? શૈક્ષણિક યોગ્યતા શું છે ? સામાજિક નિસબત કેવી છે? દેશવાસીનો પ્રત્યે એમનો વલણ અને ઉત્તરદાયિત્વની ભાવના કેવી છે? આ બધુ જ ધ્યાન માં રાખવામાં આવે છે. જે તે રાષ્ટ્રીય દલો પણ પોતાના ઘોષણાપત્રોમાં દેશ-હિતને સર્વોપરી રાખીને વિકાસના કામો કરવાની પોતાની પ્રતિબદ્ધતા પ્રજા સમક્ષ પુરી પ્રામાણિકતા સાથે મુકતા હોય છે. દરેક દલ કે પક્ષ આચાર સંહિતાને આદર અને માનસન્માન આપે છે. ચૂંટણીપંચ દ્વારા નક્કી કરાયેલા નિયમો, પ્રતિબંધો અને કાયદાઓ બધાને કોઈ પણ અપવાદ વગેરે લાગુ પડે છે. ચૂંટણી દરમિયાન તમે આતંકિત કરીંને કે લોભ લાલચ આપી ને બળપૂર્વક મતદાતાઓ પાસે થી મત પ્રાપ્ત કરી શકો નહીં. કોઈ પણ રાજકીય પક્ષ ધર્મ, સંપ્રદાય જાતિના નામે વોટ માંગી શકે નહીં. વિધાન સભા, લોક સભા, માટે નક્કી કરેલી રકમ જ રાજકીય પક્ષો ચૂંટણીમાં ખર્ચ કરી શકે તેથી વધારે ખર્ચ કરવામાં આવે તો તે ગેરકાયદેસર ગણાય. મંદિર, મસ્જિદ ચર્ચ, ગુરુદ્વાર કે અન્ય કોઈ પણ પૂજા અથવા ઈબાદતના સ્થળોની ચર્ચા કરીને મતદાતાઓથી મત માંગી શકાય નહીં.
પરંતુ આપણા દેશનું દુર્ભાગ્ય કહો કે દેશની કરુણતા કહો આ બધા નિયમો સત્તાપક્ષને લગ-ભગ લાગુ પડતા નથી. ચૂંટણી દરમિયાન સરીઆમ લોકશાહી ને શર્મસાર કરનાર, ચીરહરણ કરનાર દ્રશ્યો દેશના મોટા ભાગના રાજ્યોમાં દેખાય છે. અત્યારે પહેલાની જેમ સત્તાધારી પક્ષને બુથ કેપ્ચરીંગ કરવાની જરૂર પડતી નથી. ઈ.વી.એમ આવવાથી આ કામ ખુબ સરળ રીતે અને સરસરીતે પૂરું પડી શકાય છે. છેલ્લા ઘણા વર્ષોથી સરકારની તમામ કોશિશ વિરોધી સ્વરને કાયમી ક્ષય કે ખત્મ કરાવી દેવાની હોય છે. પરિણામે સરકાર નિરંકુશ રીતે નિયમો બનાવે છે અને તોડે છે. ન્યાય પાલિકાની અવમાનના ના કેસો આ સરકાર પર થયા છે. એટલા કેસો ભૂતકાળમાં કોઈ પણ સરકાર ઉપર થયા નથી એ પણ એક કીર્તિમાન છે. સરકાર મન કઈ વાત કરે છે. પરંતુ આ વર્ષોમાં ક્યારેય પત્રકાર પરિષદ યોજી નથી શક્યા. ચૂંટણી ટાણે જ સર્જીકલ સ્ટ્રાઇક ની ચર્ચા, ઘુષણખોરીની સમસ્યા, મંદિર, મસ્જિદ ની સળગતા પ્રશ્નો, લવજેહાદ, મોબલીંચિંગ, નકસલવાદ, આતંકવાદ વગેરે મુદાઓ પ્રગટ થઇ જાય છે. આવા સમયમાં આજીવિકાના પ્રશ્નો, રોજગારીના પ્રશ્નો, મોંઘવારી કે ભ્રષ્ટાચારના પ્રશ્નો, અને ખેડૂતના પ્રશ્નો થી દેશ અને સમાજ સર્વથા મુક્ત થઇ જાય છે. માત્ર દેશ ને અને ધર્મને બચાવવા માટે સૌ કોઈ કટિબદ્ધ થઇ જાય છે.
ચૂંટણી જીતી ગયા પછી ” સબ કુછ જૈસે થે “, કોઈ પડોશી દુશ્મનકે સરહદોના પ્રશ્નો રહેતા નથી. નકલવાદ કે આતંકવાદની વાતો પણ ભુતકાળ બની જાય છે. અને સામાન્ય જનતા ફરી પરાજિત થાય છે. અને આગામી પાંચ વર્ષ માટે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર સહન કરવા માટે ભિન્ન ભિન્ન કસરતો, અને યોગાભ્યાસમાં લાગી જાય છે.
આવા લેખો લખનાર લોકોની સંખ્યા પણ અસંખ્ય છે અને અસંખ્ય લેખો દરરોજ છપાય છે, અને વાંચતા પણ હશે. પરંતુ એક વાત નિર્વિવાદ રીતે સાચી છે કે જો આપણે સૌ ‘ એલર્ટ મોડ ‘ પર આવી જઈએ, સુષુપ્તાવસ્થામાંથી જાગ્રત અવસ્થામાં આવી જઈએ, આસ્થા, શ્રદ્ધા અને ભક્તિને ખંખેરીને યથાર્થ, ધરાતલ પર આવી જઈએ તો દ્રષ્ટિ વધુ સ્પષ્ટ થતી જશે પારદર્શી થશે, દૂર સુધીનું જોઈ શકાશે ભવિષ્ય માં આવનાર સમસ્યાઓને પણ સ્પષ્ટ રીતે જોઈ શકાશે, પણ એના માટે વ્યક્તિ પૂજા છોડવી પડશે અંધભક્તિ ત્યાગવી પડશે અને હકીકતોનો સામનો કરવાની ટેવ પાડવી પડશે તો કદાચ કોઈ પણ રાજકીય પ્રજાને છેતરી નહીં શકે.

લિફ્ટમેન
(એક કરુણ કહાની)

April 14th, 2024

મનસુખકાકા ઉંમર માં ૬૦ વટાવી ચુકેલા હતાં.આ ઉંમર પણ તેની કામ કરવાની ક્ષમતા જુસ્સો સતર વર્ષ ના યુવાનને શરમાવે એવી હતો. મનસુખકાકાને તમે ઢળતી ઉંમરે પણ પોતાના કાર્ય પ્રત્યે ની ઈમાનદારી ની ઈમારત કહી શકો. આ વડીલ એક ૪૨ માળ નાં એપાર્ટમેન્ટમાં લિફ્ટમેન તરીકે નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે.સવારે ૮ થી રાત્રે ૮ વાગ્યા સુધી ખૂબ જ સજાગ અને કુશળતા પૂર્વક પોતાની જવાબદારી નિભાવે. એપાર્ટમેન્ટ ના તમામ વ્યક્તિઓ ને મનસુખકાકા પર ખૂબ જ સ્નેહ સૌ તેની સાથે સન્માન પૂર્વક નું વર્તન કરે. મારો મિત્ર સંજય આ જ એપાર્ટમેન્ટમાં રહે.એક દિવસ એણે આ લિફ્ટમેન ની કરુણાંતિકા મને સંભળાવી તો મને થયું કે એ વાત હું આપની સાથે અહીંયા શેર કરું.

લિફટમેન મનસુખકાકા ની કરુણ કહાની સંભળાવતા સંજયે મને કહ્યું કે આ વયોવૃદ્ધ વ્યક્તિ પોતાની નોકરી પ્રત્યે સહેજ પણ બેજવાબદાર નથી. સમય સર આવી જ જાય અને ૧૨ કલાક જેટલો સમય બહાર ની દુનિયા થી દૂર થઇ લિફ્ટ માં જ દિવસ પસાર કરતા. એપાર્ટમેન્ટ ના સૌ વ્યક્તિને પ્રથમ મુલાકાત વખતે નમસ્કાર કરવાની મનસુખકાકા ની ટેવ હતી , અને પગાર થયો હોય એવા દિવસો માં ગજવામાં ચોકલેટ જરૂર રાખે ક્યારેક કોઈ બાળક શાળાએ ન જવા માટે જીદ કરે તો મનસુખકાકા ચોકલેટ બાળક ને આપી મનાવી લેતાં અને બાળક સાથે બાળક બની શાળા એ મોકલી દેતા.

સંજયે મને એમની હ્દયદ્રાવક વાત જણાતા કહે છે કે હું દરરોજ સવારે ૯:૧૫ મિનિટે ઘરે થી ઓફિસ જવા માટે લિફ્ટ માં નીચે ઉતરુ. અને જોઉં છું તો હમણાં થોડા દિવસથી લિફ્ટમેન મનસુખકાકા સવારે ૯:૧૫ થી ૯:૨૫ સુધી કોઈ ની સામે જોવે નય કે ઉંચુ મોં કરીને વાત પણ ન કરે અને તેની પાસે રહેલો સાદા મોબાઈલ ફોન માં સમય ને જોયા કરે. નમસ્કાર કહ્યા વગર કોઈ ને જવા ન દેનાર મનસુખકાકા નું આવું વર્તન સંજય ના મનમાં શંકા પેદા કરતું હતું.આવુ લગભગ એક વિક ચાલ્યું. અંતે સાતમા દિવસે સંજયે મનસુખકાકા ને તેમના આ વર્તન વિશે પૂછવા નો પ્રયત્ન કર્યો અને કહ્યું:
કાકા હું છેલ્લા એક વિક થી જોઉં છું કે તમે હમણાં થી સવારે ૯:૧૫ થી લઈ ને ૯:૨૫ સુધી ઉંચુ મોં પણ નથી કરતા કે કોઈ સાથે કશું બોલતા નથી માત્ર મોબાઈલ માં સમય જ જોયા કરો છો શું કોઈ પ્રોબ્લેમ થયો છે કે શું? લિફ્ટમેન મનસુખકાકા ના હ્દય ને ટાઢક વળી અને થયું હાશ… કોઈ તો મળ્યું કે જેના ખભે હું માથું મૂકી મારા કાળજા ને કંપાવનારી વાત કહી મારું હૃદય હળવું કરી શકું. મનસુખકાકા ગળ ગળા અવાજે કરુણાંતિકા શરૂ કરી અને કહ્યું કે મારી એક ની એક દિકરી ના મેં લગભગ ૧૪ માસ પહેલા જ લગ્ન કર્યા પણ….
આટલું બોલે ત્યાં સંજયે વચ્ચે પૂછ્યું કે શું તેને સાસરીયે કોઈ કષ્ટ છે? લિફ્ટમેન મનસુખકાકા એ આંખ માં આવેલા આંસુ ને પાંપણ ના ખૂણે દબાવી ને તળપદી ભાષા માં કહ્યું: ‘ અસ્ત્રી ની જાતને તો દુઃખ અને દરદ તો એના પાલવ ના છેડે બાંધેલા હોય છે અને કુદરત માથે પડેલું દરદ ઝિરવવુ જ પડે એમાં કાંઈ નવું નથ પણ અહીં વાત એ સમજવા ની છે સાહેબ કે કુદરતે આપેલા દર્દ જીરવી જવાય પણ કુદરત ના બનાવેલા આ માણાહ કે જેને આપણા પોતાના ગણ્યા હોય એ જાત જ્યારે દરદ આપે સે ને ત્યારે થાકી ને હારી જવાય છે.
આટલું બોલતા ની સાથે જ મનસુખકાકા ધૃસકે ધૃસકે રહી પડયા.
મિત્ર સંજયે શાંત પાડતા કહ્યું અરે કાકા એમ કાંઈ થોડી હિંમત હારી જવાય અને પુરુષ ની જાત ને આમ જાહેર માં થોડું કાંઈ રડવા નું હોય માંડી ને વાત કરો ખરેખર શું તકલીફ છે આજે ભલે મારે ઓફિસે જવાનું થોડું થતું હોય તમે મને કહો.

ખિસ્સા માંથી ગોટો વળી ગયેલા રુમાલ કાઢી આંખો લૂછી વાત આગળ ચાલી મનસુખકાકા એ કહ્યું ૧૪ મહીના પહેલાં મેં મારી લાડકવાયી દીકરી ને હસતા મોઢે સાસરિયે વળાવી.થોડા દિવસ બધુ સારું ચાલ્યું અને પછી મને જેની ભિતર મા ભેં હતી એ જ થયું, સાસુ એ સાસુ વાળી ચાલુ કરી અને સસરા એ સસરા વાળી અને એનો દીકરો અને મારો જમાઈ પણ માવડીયો બની ગયો હોય તેમ એની મા જેમ કહે એમ જ કરે અને એટલું જ કરે. હમણાં થોડા દિવસ પહેલા જ કુદરતે કૃરતા વરસાવી ને મારી દિકરી ની પ્રથમ કસુવાવડ થઈ નાનપણ માં જ માતા ની છત્રછાયા ગુમાવી ચૂકેલી મારી આ દિકરી અત્યારે નોંધારી બની છે સાહેબ…….

બાપ ના હ્દય ની વેદના મનસુખકાકા ની આંખોમાં અને આવાજ માં સ્પષ્ટ અનુભવી શકતી હતી.સંજયે કહ્યું કાકા એવું હોય તો આ ફોન થી દિકરી સાથે વાત કરી લ્યો ખબર અંતર પૂછી લ્યો એટલે ચિંતા અને હ્દય બને હળવું થય જાય…..
સાહેબ એ જતો શક્ય નથી થતું , એ જ તો મોટી મુસીબત છે કે હું મારી જ સગ્ગી દીકરી સાથે આવા સમયે વાતચીત નથી કરી શકતો તેના ખબર નથી પૂછી શકતો માં ના સ્નેહ વ્હાલ વગર એને મેં કેમ મોટી કરી એ મારું મન જાણે છે અત્યારે એના પર શું વીતતી હશે અને એ હું અનુભવી શકું પણ શું કરું મજબુર છું ઈશ્વર આવી મજબુરી કોઈ ને ન આપે ……

( એવી તો વળી શું મજબુરી હશે મનસુખકાકા ની કે સગી દિકરી સાથે વાત નથી કરી શકતા….. વઘુ આવતા અંકે)

“વ્યાપારી ની દ્રષ્ટિએ:વ્યાપાર

April 14th, 2024

આ શ્રેણી માં આપણે આગળ જોયું કે વ્યાપાર માં ધીરજ નું મહત્વ કેટલું છે,વ્યાપાર માં થતી ભૂલો ને કેવી રીતે સ્વીકારવી, હવે આજે જોઈશું કે વ્યાપાર માં જાદુ જેવુ કઈ જ હોતું નથી તેમજ આપણે બહાર ના વિચારો ને સ્વીકારવા તૈયાર રેહવું પડશે તેમજ કર્મચારી ને પણ મહત્વ આપવું પડશે જો આપણે વ્યાપાર માં ટકી રેહવું હોય તો.

વ્યાપાર માં જાદુ નું અસ્તિતવ

આપણે જ્યારે કોઈ વ્યાપારી ની સફળતા વિશે જાણીએ ,ત્યારે બસ આપણે એની સફળતા જ જોઈએ છીએ ,પણ એ સ્થાન પર પહોચવા એણે આપેલ સમય, પૈસા,મેહનત ,સતત પ્રયત્નો,એમણે કરેલા રાતો ના ઉજાગરા એ બધુ નથી જોતાં.બસ સફળતા જોઈ ને એમ વિચારીએ કે અમને ય મળી જશે સફળતા ,એમ સફળતા ના મળે એમ ખાલી વિચારો થી જંગ ના જીતી શકાય એના માટે આપણે પણ મેહનત કરવી પડે,ધીરજ થી કામ લેવું પડે,અથાગ પ્રયત્ન કરવા પડે બાકી તો બીજા ની સફળતા જોઈ ને ઈર્ષા કરતાં જ રહી જઈએ.વ્યાપાર કરવો એ કઈ રમત વાત નથી કે આજે રાતે વિચાર્યું કે મને સફળતા મળી જશે અને બીજા દિવસે સફળતા તમારા કદમ માં હોય એવા જાદુ રિયલ લાઇફ માં તો નથી જ થતાં. તેથી તમે તમારા વિચારો પર કામ કરવા નું ચાલુ કરી દો ,બાકી એમ વિચરશો કે કોઈ જાદુ થશે ને તમે સફળ થઈ જશો તો થઈ રહ્યા સફળ.

બીજું એ કે તમે બીજા ના વિચારો ને પણ દિલ થી સ્વીકારો,એના માટે હમેશા કાન,આંખ ખુલ્લા રાખી ને કામ કરો,ઘણા વ્યાપારી ને એવું માનવાની આદત હોય કે એની વ્યાપાર કરવા ની રીત જ બેસ્ટ છે,બીજા કોઈ ને કશું આવડતું જ નથી.એમના કર્મચારી ની વાતો ને તો સાવ નકામી ગણી ને સાંભળતા જ નથી ,આ જ આદત એમની પ્રગતિ રોકે છે અને ઘણી વાર એમને નિષ્ફળતા મળે છે.જ્યારે સફળ થવા માંગતો વ્યાપારી દરેક ના વિચારો ને સરખું માન આપે છે, એમના કર્મચારી ની વાતો ને પણ સાંભળે છે,એમાં થી ય નવું શીખે છે અને બધા જ વિચારો પર પુન:વિચાર કરે છે અને પછી યોગ્ય નિર્ણય લે છે.આના થી બીજો ફાયદો એ પણ થાય કે જો તમે કર્મચારી ની વાતો સાંભળશો તો એમને પણ કામ કરવા નો ઉત્સાહ વધશે અને એ પોતાના વ્યાપાર માટે કામ કરે છે એમ વિચારી ને વધુ સારી રીતે તમારા વ્યાપાર માટે કામ કરશે.પોતાના એક સીમિત કોચલા ની બહાર નીકળી ને લોકો ને સાંભળો,તમારા થી સામા વાળા નો અભિપ્રાય સાચો હોય તો એનો સ્વીકાર કરો સફળતા માટે આ એક અગત્ય નું પગલું છે.

માટે બોસ ઇસ ઓલ્વેજ રાઇટ વાળા નિયમ ને ભૂલી જ જાવ ,એ ક્યારેય તમને સાચી દિશા માં નહીં લઈ જાય.

II ॐ भूर्भुव स्वः तत्सवितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो योन प्रचोदयात् II

April 14th, 2024

ચૈત્રી નવરાત્રીની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ. આજે ચૈત્રી નવરાત્રીનું પાંચમુ નોરતું. મા શક્તિ અંબા તેમજ અમારા બ્રાહ્મણોના અધિષ્ઠાત્રી દેવી માં ગાયત્રી સૌનું કલ્યાણ કરે. ગાયત્રી મંત્ર વિશે જેટલું લખી શકાય, જેટલું બોલી શકાય તેટલું ઓછું છે. આ મંત્ર ઉપર ઘણી વાર અગાઉ પણ મેં આર્ટીકલ માં લખેલું છે તેમ છતાં હજુ પણ મને એવું થાય કે ગાયત્રી મંત્ર શા માટે આટલો ઉર્જાવાન મંત્ર છે? તેની જાણકારી લોકોને આપવી જોઈએ.ગાયત્રી મંત્રને સીધો સૂર્ય સાથે સંબંધ છે. ઘણા બધા મિત્રો ગાયત્રી અનુષ્ઠાન કરતા હોય છે હા, ગાયત્રી મંત્ર સૂર્ય અસ્ત થાય પછી કરી શકાતા નથી. બ્રહ્મ મુહૂર્ત માં જો ગાયત્રી મંત્ર કરવામાં આવે તો તેની એક અલૌકિક ઉર્જા હોય છે. મારો આ મંત્ર માટે પ્રત્યક્ષ અનુભવ છે આ મંત્ર માંથી તરંગો બહાર નીકળતા હોય છે. જે વ્યક્તિ ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરે તે વ્યક્તિ પણ ઉર્જાવાન થઈ જતા હોય છે. ગાયત્રી મંત્ર નું સૌ પ્રથમ ઉચ્ચારણ આ સમગ્ર સૃષ્ટિના સર્જક શ્રી બ્રહ્મા ના મુખ થી થયું હતું. બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે તેના માટેના શબ્દો અક્ષરો અને તેની પાછળના ગર્ભિત અર્થ આ ગાયત્રી મંત્ર ના આકાશવાણી દ્વારા સંભળાયા હતા. હા આ ગાયત્રી મંત્ર નું ખૂબ જ ગુઢ રહસ્ય છે. કોઈપણ દેવ મંત્ર આધીન હોય છે. કોઈપણ મૂર્તિમાં પ્રાણ ત્યારે જ આવે છે જ્યારે બ્રાહ્મણો એ મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે. તમે કોઈપણ મૂર્તિને એમાં પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પહેલા જુઓ અને પછી એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયા પછી એના દર્શન કરો તમને ખૂબ જ મોટો ફર્ક લાગશે. મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયા પછી ભૂદેવો મૂર્તિની સામે અરીસો રાખતા હોય છે. જેથી કરીને એ અરીસામાં ઉર્જા ઝીલી શકાય અને અરીસો તૂટી જતો હોય છે. આ મંત્રની તાકાત છે મિત્રો. ધીમહિ શબ્દ એટલે ગાયત્રી. દરેક દેવનો ગાયત્રી મંત્ર હોય છે. ગણપતિ ગાયત્રી હોય વિષ્ણુ ગાયત્રી હોય અને શિવ ગાયત્રી પણ હોય છે. ગાયત્રી મંત્ર વેદમાતા ગાયત્રીની ઉપાસના છે. તેથી તેને વેદ મંત્ર પણ કહેવામાં આવે છે. વેદોની ઉત્પત્તિ ગાયત્રી મંત્ર માંથી થઈ છે આથી જ તેને સર્વ મંત્રોમાં શ્રેષ્ઠ મંત્ર ગણવામાં આવે છે. ગાયત્રી મંત્રનો અનંત મહિમા છે. ગાયત્રી મંત્રના અક્ષર માત્ર અક્ષર જ નથી પણ દેવી-દેવતાઓના સ્મરણ બીજ છે. ગાયત્રી મંત્રની ઉપાસના દરેક પાપનો નાશ કરનારી આધ્યાત્મિક સુખોથી લઈને ભૌતિક સુખોને આપનારી માનવામાં આવી છે આ મંત્રમાં મનુષ્યનું જીવન બદલી નાખવાની દિવ્ય શક્તિ રહેલી છે. ગાયત્રી મંત્રના કારણે આત્મબળ વધવાથી મનુષ્યની ગુપ્ત શક્તિઓ જાગૃત થાય છે જે સંસારિક જીવનમાં અને સંઘર્ષમાં અનુકૂળ પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે. સાહસ સુશ્તી,ચેતન, આશા, દુરદર્શીતા, દિવ્ય બુદ્ધિ, તકની ઓળખ, વાણીમાં માધુરીય, વ્યક્તિત્વમાં આકર્ષણ, સ્વભાવમાં સારાપણું જેવી અનેક વિશેષતાઓ વિકસિત થાય છે. ગાયત્રી મંત્રના જાપ કર્યાના થોડા જ દિવસમાં તમારી એકાગ્રતા વધશે અને કામમાં ક્રિએટિવિટીમાં પણ વધારો થશે. આ ઉપરાંત તમને આખો દિવસ સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થતી હોય છે ખાસ કરીને મનમાં આવતા આડાઅવળા વિચારોમાં પણ ઘટાડો જોવા મળતો હોય છે. અને તમારી આધ્યાત્મિક વૃત્તિમાં વધારો થાય છે આ ગાયત્રી મંત્ર યત્ર તત્ર સર્વત્ર હૃદયસ્થ છે. વેદમાતા શક્તિને આદિ શક્તિ પણ કહેવામાં આવે છે. આ મંત્ર ના24 અક્ષર ની વ્યાખ્યામાં ચાર વેદ બન્યા છે. ભગવાન શ્રી રામચંદ્ર પણ આ મંત્રના જાપ કરતા હતા જેનો ઉલ્લેખ શ્રી વાલ્મિકી રામાયણમાં આપણને જોવા મળે છે. ગાયત્રીના સાધકને આધ્યાત્મિક તેમજ સાંસારિક સુખોની ક્યારેય ઊણપ રહેતી હોતી નથી. વિદ્યાર્થીઓએ પણ તેમની એકાગ્રતા વધારવા માટે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ અભ્યાસમાં એકાગ્રતા અને જ્ઞાન માટે ગાયત્રી મંત્ર એકદમ ઉત્તમ છે. આ મંત્રનો જાપ કરવાથી અલગ જ પ્રકારની શાંતિ મળે છે આસપાસનું વાતાવરણ એકદમ શાંતિ મળે અને સુખદ થઈ જાય છે. જો સારી રીતે આ મંત્ર ને સમજીને તેનો જાપ કરવામાં આવે તો અનેક ગણું પુણ્ય મળે છે. આ મહામંત્ર બધી જ ઈચ્છા પૂરી કરે છે તેથી જ તેને કામધેનું સમાન ગણવામાં આવે છે. ગાયત્રી મંત્રને ભક્તિ ભાવપૂર્વક સ્મરણ કરવાથી સાધક પુણ્યના ભાગીદાર બને છે જો રોજ સવારે પૂર્વ દિશામાં ઉદય પામતા સૂર્યનારાયણને જળ ચડાવીને તમે ગાયત્રી મંત્રનો ભાવપૂર્વક સ્પષ્ટતાથી ઉચ્ચારણ કરો તો સર્વે રોગમાંથી મુક્તિ મળતી હોય છે. ગાયત્રી મંત્રના જાપ કરવાથી સાધક પુણ્યના ભાગીદાર બને છે. આ મંત્ર ના સતત મંત્ર જાપ કરવાથી તમારી ત્વચામાં પણ ચમક આવે છે. આંખોમાં તેજ વધે છે, સ્વપ્ન સિદ્ધિ પ્રાપ્ત થાય છે ગુસ્સો શાંત થાય છે અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. સતત ધ્યાન ધરી જો ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે તો આંતરિક શક્તિનો પણ વિકાસ થાય છે. રોજ મંત્ર જાપ કરતી વ્યક્તિનો સ્વભાવ શાંત અને સરળ બનવા લાગે છે. કારણ કે ગાયત્રી મંત્ર ગુપ્ત મંત્ર છે. જે વ્યક્તિ પ્રતિદિન ગાયત્રી મંત્રની ત્રણ માળા કરે છે તેમના પર માતા ગાયત્રીની કૃપા અવશ્ય રહેતી હોય છે. તેના પર કોઈ પણ જાતના આવી પડતા સંકટમાંથી બચાવ થઈ શકે છે અને મા ગાયત્રી નું રક્ષણ સદાય મળતું રહે છે અને સંસારના આધીવ્યાધી ઉપાધિ માંથી મુક્તિ મળે છે. શાળા કોલેજોમાં પણ પ્રાર્થના સમયે ગાયત્રી મંત્ર નું પઠન જરૂર થવું જોઈએ જેનાથી દરેક વિદ્યાર્થીઓને ગાયત્રી મંત્ર સ્મરણનો લાભ મળે. બ્રાહ્મણના ઘરે દીકરાનો જન્મ થાય ત્યારે સૌ પ્રથમ ભગવાન મહાદેવ ખૂબ જ ખુશ થાય છે એમને એમ થાય કે આ બટુક મને જરૂર જળ અર્પણ કરશે અને વેદમાતા ગાયત્રી પણ ખૂબ જ પ્રસન્ન થાય છે એમને એમ થાય કે આ બ્રાહ્મણ નો દીકરો અચૂક ગાયત્રી મંત્રના જાપ કરશે. ભૂદેવો તો ગાયત્રી મંત્રના જાપ કરતા જ હોય છે અને જો ના કરતા હોય તો કરવા જ જોઈએ. ભૂદેવ ગાયત્રી મંત્ર કરે ત્યારે તે લોકો ત્રિપદા ગાયત્રી કરતા હોય છે જેમાં ત્રણવાર ૐ નો ઉલ્લેખ છે. ગાયત્રી મંત્ર માં 27 પ્રકારની શક્તિઓ રહેલી છે. ગાયત્રી મંત્રનો પ્રમાણ મેળવવા માટે જો વિધિપૂર્વક 24000 ગાયત્રી મંત્રનું લઘુ અનુષ્ઠાન કરવામાં આવે તો પણ સાધકને અચૂક તેનું પ્રમાણ મળતું હોય છે. નવરાત્ આપ સર્વેને હાર્દ બ્રાહ્મણોના અધિષ્ઠાત્રી દેવી માં ગાયત્રી સૌનું કલ્યાણ કરે. ગાયત્રી મંત્ર વિશે જેટલું લખી શકાય જેટલું બોલી શકાય તેટલું ઓછું છે. આમંત્રણ ઉપર ઘણી વાર અગાઉ પણ મેં ડિટેલમાં આર્ટીકલ માં લખેલું છે તેમ છતાં હજુ પણ મને એવું થાય કે ગાયત્રી મંત્ર શા માટે આટલું ઉર્જાવાન મંત્ર છે? ગાયત્રી મંત્રને સીધો સૂર્ય સાથે સંબંધ છે. ઘણા બધા મિત્રો ગાયત્રી અનુષ્ઠાન કરતા હોય છે હા ગાયત્રી મંત્ર સૂર્ય અસ્ત થાય પછી કરી શકાતા નથી. બ્રહ્મ મુહૂર્ત માં જો ગાયત્રી મંત્ર કરવામાં આવે તો તેની એક અલૌકિક ઉર્જા હોય છે. મારો આ મંત્ર માટે પ્રત્યક્ષ અનુભવ છે આ મંત્રમાંથી તરંગો બહાર નીકળતા હોય છે.

સામાજિક પુનઃઉત્થાન, માનવ કલ્યાણ અને વ્યક્તિત્વ વિકાસ અર્થે ડૉ. બાબા સાહેબ આંબેડકરના પ્રેરણાદાયી વિચારો

April 14th, 2024

ઘણી વખત આપણે કેટલાક મહાન વ્યક્તિત્વોને સમગ્રતયાથી મૂલવવાને બદલે કોઈ એક ચોક્કસ સમુદાય કે વિચારધારા પૂરતા સીમિત કરી દેતાં હોઈએ છીએ. જેના પરિણામ સ્વરૂપે અજાણતા જ આપણે આપણી જાતને તે મહાન વ્યક્તિત્વને જાણવા, સમજવા, અને અનુસરવાની પૂરતી તકોથી વંચિત રાખીએ છીએ. આવું જ એક મહાન વ્યક્તિત્વ એટલે ડૉ. બાબા સાહેબ આંબેડકર. બાબા સાહેબની વાત નીકળતાની સાથે જ મહદઅંશે આપણે તેમને દલિતો અને વંચિતોના મસીહા કે બંધારણના ઘડવૈયા પુરતા સીમિત કરી દેતા હોઈએ છીએ. આપણે એ વાતને બિલકુલ ન અવગણી શકીએ કે બાબા સાહેબે દલિતો અને વંચિતોના પુનઃ ઉત્થાન માટે સવિશેષ પ્રયત્ન કર્યા હતા. પરંતુ જો આપણે તેમના જીવન અને કાર્યોનો વિગતે અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે તેમણે માત્ર દલિતો અને વંચિતોના વિકાસની જ વાત નથી કરી. ખરેખર તો બાબા સાહેબે સમગ્ર માનવજાતના ઉત્કર્ષની વાત કરી છે. ત્યારે આજે બાબા સાહેબના વિચારોને સામાજિક પુનઃઉત્થાન, માનવ કલ્યાણ અને વ્યક્તિત્વ વિકાસ સંદર્ભે સમજવાનો પ્રયત્ન કરીએ.

આજે પણ સમાજના દરેક વર્ગના પુનઃઉત્થાન માટે ખુબ જ આવશ્યક સુચન જે તે સમયે બાબા સાહેબે કરેલ, “શિક્ષિત બનો, સંગઠિત રહો અને સંઘર્ષ કરો”. આ વાતને આપણે કોઈ એક સમુદાય પુરતી સીમિત ન સમજતા અન્યાયની સ્થિતિમાં ન્યાય માટે અને દરેક સમાજના સર્વાંગી વિકાસ માટે ખુબ જ ઉપયોગી અને અનિવાર્ય છે. ગરીબીના શિક્ષણ સાથેના સંબંધને સમજાવતા બાબા સાહેબે જણાવ્યું કે, “આ દુનિયામાં ગરીબ એ જ છે જે શિક્ષિત નથી. એટલા માટે અડધી રોટલી ખાઓ પરંતુ પોતાના બાળકને જરૂર ભણાવો”.

વ્યક્તિત્વ વિકાસને પ્રાધાન્ય આપતા બાબા સાહેબ જણાવે છે કે, “પાણીનું ટીપું જયારે સાગરમાં મળે છે ત્યારે પોતાની ઓળખ ભૂલી જાય છે. જયારે સમાજમાં રહેલો વ્યક્તિ ક્યારેય પણ પોતાની ઓળખ નથી ભૂલતો. મનુષ્યનું જીવન સ્વતંત્ર છે. જે માત્ર સમાજના વિકાસ માટે નથી મળ્યું પરંતુ પોતાના વ્યક્તિત્વ વિકાસ માટે પણ મળ્યું છે.” વધુ તેઓ જણાવે છે કે, “આપણે જો આપણા પગ ઉપર ઉભા રહેવું હોય તો આપણા અધિકાર માટે લડવું પડશે, માટે પોતાની તાકાત અને બળને ઓળખો. શક્તિ અને પ્રતિષ્ઠા સંઘર્ષથી મળે છે.” તેઓ માનવ કલ્યાણને સાચા અર્થમાં સમજાવતા જણાવે છે કે, “બુદ્ધિનો વિકાસ માનવના અસ્તિત્વનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ.” માનવીના વિચારોને વેગ આપવાની વાત કરતા તેઓ જણાવે છે કે, “મનુષ્યનો જીવ નશ્વર છે, એવી રીતે વિચારો પણ નશ્વર છે. એક વિચારને પ્રચાર અને પ્રસારની જરૂરત પડે છે, જેવી રીતે એક છોડને પાણીની, નહીતર બંને સુકાઈને મરી જશે.” વ્યક્તિગત મહાનતાને સમજાવતા તેઓ કહે છે કે, “એક મહાન માણસ એક પ્રતિષ્ઠિત માણસથી એટલો અલગ હોય છે જે સમાજનો નોકર બનવા પણ તૈયાર હોય છે.” વ્યક્તિ સ્વતંત્ર્ય અંગે બાબા સાહેબ જણાવે છે કે, “જો તમે મનથી સ્વતંત્ર છો તો તમે સાચી રીતે સ્વતંત્ર છો.” તેઓ કહે છે કે, “જે નમી શકે છે તે નમાવી પણ શકે છે.”

ધર્મ કેવો હોવો જોઈએ તે જણાવતા તેઓ કહે છે કે, “મને એવો ધર્મ ગમે છે જે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારો શીખવે.” વધુમાં તેઓ કહે છે કે, “જો આપણે આધુનિક વિકસિત ભારત જોઈએ છે તો દરેક ધર્મોએ એક હોવું જોઈએ.” તેઓ માનતા હતા કે, “ધર્મ માણસ માટે છે, નહી કે માણસ ધર્મ માટે.” સ્ત્રી-પુરુષ સમાનતાની હિમાયત કરતા બાબા સાહેબ જણાવે છે કે “શિક્ષણ મહિલાઓ માટે એટલું જ જરૂરી છે જેટલું પુરુષો માટે.” વધુમાં તેઓ કહે છે કે, “હું એક સમુદાયની પ્રગતિને મહિલાઓએ મેળવેલી સફળતાને આધારે માપું છું.” સામાજિક બદલાવની દિશામાં હિમાયત કરતા બાબા સાહેબ જણાવે છે કે, “ આપણને જે સ્વતંત્રતા મળી છે એના માટે આપણે શું કરી રહ્યા છીએ? આ સ્વતંત્રતા આપણને આપણી સામાજિક વ્યવસ્થાને સુધારવા માટે મળી છે. અસમાનતા, ભેદભાવ અને અન્ય વસ્તુઓથી સામાજિક વ્યવસ્થા બંધાયેલી છે, જે આપણા મૌલિક અધિકારોની સાથે સંઘર્ષ કરે છે.” “ સ્વતંત્રતાનો અર્થ સાહસ થાય છે. આ સાહસ દ્વારા સંગઠન એકરૂપ થાય છે.”

ન્યાય માટેની હિમાયત કરતા બાબા સાહેબ જણાવે છે કે, “અન્યાયની સામે લડત લડતા તમારૂં મૃત્યુ થઇ જશે તો, તમારી આવનાર પેઢી એનો બદલો જરૂર લેશે. જો અન્યાય સહન કરતા તમારૂં મૃત્યુ થશે તો તમારી આવનારી પેઢી ગુલામ બનીને રહેશે.” ભારતના બંધારણ માટે તેઓ માને છે કે, “બંધારણ માત્ર વકીલોનું દસ્તાવેજ નથી, પરંતુ જીવન જીવવાનું માધ્યમ છે.” વધુમાં તેઓ જણાવે છે કે, “સંવિધાન ભલે ગમે તેટલું સારૂ હોય પરંતુ એ ખરાબ પણ સાબિત થઇ શકે છે, જો એને ચલાવનારા લોકો ખરાબ હોય. એક સંવિધાન ગમે તેટલું ખરાબ હોય પરંતુ સારૂં સાબિત થઇ શકે છે, જો એનું પાલન કરાવનારા સારા હોય.”

આજકાલ રાષ્ટ્રવાદના નામે આપણે ત્યાં બહુ વાદ-વિવાદો થઇ રહ્યા છે ત્યારે આ મુદ્દે બાબા સાહેબનું માનવું હતું કે, “રાષ્ટ્રવાદ ત્યારે ઉંચા પદે હોઈ શકે છે, જયારે લોકોની વચ્ચે જાતિ, રંગ કે પ્રદેશનું અંતર ભુલાવીને સામાજિક ભાઈચારાને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવે.” લોકસભાની ચુંટણીઓ હવે આંગણે આવીને ઉભી છે ત્યારે બાબા સાહેબ રાજકારણમાં ભાગ ન લો તો તેનું શું પરિણામ આવી શકે તે અંગે જણાવે છે કે, “રાજનીતિમાં ભાગ ન લેવો એ સૌથી મોટો ગુનો ત્યારે બને છે, જયારે અયોગ્ય વ્યક્તિ તમારા પર રાજ કરવા લાગે છે.”

અંતમાં, બાબા સાહેબ જણાવે છે કે, “સારૂં દેખાવવાને બદલે, સારા બનવા જીવવું જોઈએ.” અને આ વાતને જીવનમાં સાર્થક કરવા માટે બાબા સાહેબની એ વાત આપણને સૌને પ્રેરણા આપે છે કે, “મહાન પ્રયત્નોથી વધારે દુનિયામાં કઈ અમુલ્ય નથી.”

દિન વિશેષ: ૧ એપ્રિલ – “એપ્રિલ ફૂલ” – મજાક, મસ્તી અને રમૂજનો દિવસ…!

April 1st, 2024

આમ તો આપણે કેલેન્ડરમાં જોઈએ તો વર્ષમાં એક પણ દિવસ એવો નથી હોતો કે તે દિવસ વિશેષ ન હોય. તેમાં પણ ઘણા દિવસો સવિશેષ હોવાને કારણે આપણને તે દિવસે જાહેર રાજા પણ મળે છે. પરંતુ આજે આપણે જે દિવસ વિષે વાત કરવા જઈ રહ્યા છે તે આપણા હાલના હાડમારી ભર્યા જીવનમાં ખુબ જ જરૂરી અને ઉપયોગી દિવસ છે. આજકાલ વ્યક્તિના ચહેરા પરથી સ્મિત (હાસ્ય) જાણે ગાયબ થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. દિવસે ને દિવસે આપણી જીવનશૈલી અને કાર્યપધ્ધતી તણાવયુક્ત બની રહી છે અને જેના પરિણામ સ્વરૂપે આપણી આસપાસના લોકોમાં જીવનશૈલીને લગતા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. આ સ્થિતિમાં તણાવમાંથી રાહત મેળવવા માટે આનંદ, મજાક, મસ્તી અને રમૂજ કરવી ખુબ જ જરૂરી છે ત્યારે આપણી રોજીંદી વ્યસ્તતા વચ્ચે આજે અચાનક જ કોઈ બાળક, સ્વજન, મિત્ર, પરિચિત અથવા કદાચ દુશ્મન પણ આવીને તમારી સાથે મજાક, મસ્તી, ટીખળ કે રમૂજ કરે તો ખોટું ન લગાડતા કારણ કે આજે ૧ એપ્રિલ છે. વિશ્વના અનેક દેશના લોકો આજે “એપ્રિલ ફૂલ્સ ડે” અથવા “ઓલ ફૂલ્સ ડે” તરીકે ઉજવશે. આજના દિવસે ઘણા લોકો તેમના સ્વજનો, મિત્રો તથા સહકર્મીઓ સાથે એક યા બીજી રીતે મજાક, મસ્તી કે ટીખળ કરી તેમને મૂર્ખ બનવવાનો પ્રયાસ કરશે. તો આજે “એપ્રિલ ફૂલ્સ ડે” વિષે જ થોડી વધુ વાત કરીએ.

૧ એપ્રિલ રજાનો દિવસ કે કોઈ પ્રખ્યાત તહેવાર ન હોવા છતાં ભારત સહિત ઘણા દેશોમાં બહોળા પ્રમાણમાં જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે. આજના દિવસે લોકો પોતાના મિત્રો, કુટુંબીજનો, પડોશીઓ અને ક્યારેક દુશ્મનો સાથે પણ રમૂજભરી ટિખળ કરે છે. સામાન્ય રીતે આ ટિખળમાં સામી વ્યક્તિને મૂર્ખ બનાવવાનો ઉદ્દેશ્ય હોય છે. પારંપરિક રીતે કેટલાક દેશોમાં આવી મજાક-મસ્તીનો દોર ફક્ત બપોર સુધી જ ચાલે છે. જેમકે, યુ.કે., ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને કેનેડામાં જો કોઇ બપોર પછી આવી રમૂજ કરે તો તેને જ “એપ્રિલ ફૂલ” કહેવામાં આવે છે. પરંતુ બીજા દેશોમાં અને આપણા ભારતમાં પણ, આવી મજાક આખો દિવસ ચાલે છે.

૧ એપ્રિલે ‘એપ્રિલ ફૂલ’ દિવસ કેમ ઉજવવામાં આવે છે, તે અંગેનો ઇતિહાસ જોઈએ તો આ અંગે અનેક માન્યતાઓ પ્રચલિત છે. એક માન્યતા અનુસાર આ દિવસ ૧૩૮૧ માં પહેલીવાર ઉજવવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે ઇંગ્લેન્ડના રાજા રિચાર્ડ દ્વિતિય અને બોહેમિયાની રાણી એની એ સગાઈની જાહેરાત કરી હતી. તેમની સગાઈની તારીખ ૩૨ માર્ચ ૧૩૮૧ નક્કી કરવામાં આવી. આ સમાચાર સાંભળીને લોકો ખૂબ જ ખુશ થયા અને બધાએ જશ્ન મનાવવાનું શરૂ કર્યું. પાછળથી તેમને ખબર પડી કે કેલેન્ડરમાં ૩૨ માર્ચની કોઈ તારીખ નથી, એટલે કે બધા મૂર્ખ બની ગયા છે ત્યારથી ૧લી એપ્રિલના રોજ “એપ્રિલ ફૂલ ડે” મનાવવાનું શરૂ થયું.

“એપ્રિલ ફૂલ ડે” સંબંધિત બીજા મત મુજબ તેની શરૂઆત ફ્રાન્સથી થઈ. કહેવાય છે કે વર્ષ ૧૫૮૨ માં ચાર્લ્સ પોપે જૂના કેલેન્ડરને બદલીને તેની જગ્યાએ નવું રોમન કેલેન્ડર લાગુ કર્યું હતું. તેમ છતાં ઘણા લોકોએ જૂના કેલેન્ડરને અનુસરવાનું ચાલુ રાખ્યું. એટલે કે જૂના કેલેન્ડરને અનુસરીને, તે મુજબ નવા વર્ષની ઉજવણી કરવાનું ચાલુ રાખ્યું. ત્યારથી “એપ્રિલ ફૂલ્સ ડે” ઉજવવાનું શરૂ થયું. ઈતિહાસકાર એપ્રિલ ફૂલને હિલેરિયા (આનંદ માટે લેટિન શબ્દ) સાથે પણ જોડે છે. એને સિબેલ સમુદાયના લોકો માર્ચના અંતમાં પ્રાચીન રોમમાં મનાવતા હતા. એમાં લોકો વેશ કાઢતા અને એકબીજાની અને મેજિસ્ટ્રેટ સુધીના લોકોની મજાક ઉડાવતા. તેને ઈજિપ્તની પ્રાચીન કહાનીઓ સાથે જોડવામાં આવે છે. કેટલાક લોકો એમ પણ કહે છે કે એપ્રિલ ફૂલનો સંબંધ વર્નલ ઈક્વોનોક્સ કે વસંતના આગમન સાથે છે. પ્રકૃતિ બદલાતી મોસમ સાથે લોકોને બેવકૂફ બનાવે છે.

ભારતમાં “એપ્રિલ ફૂલ્સ ડે” ની ઉજવણી અંગે વાત કરીએ તો
કેટલાક અહેવાલો અનુસાર અંગ્રેજોએ ભારતમાં આ દિવસ ૧૯ મી સદીમાં ઉજવવાનું શરૂ કર્યું હતું. એપ્રિલ ફૂલની શરૂઆત અંગેની માન્યતાઓની જેમ તેને ઉજવવાની રીત પણ અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ છે. ફ્રાન્સ, ઈટલી, બેલ્ઝિટમમાં કાગળની માછલી બનાવી લોકોની પાછળ ચિપકાવી દેવામાં આવે છે અને મજાક કરવામાં આવે છે. ઈરાની ફારસી નવાવર્ષના ૧૩મા દિવસે એક-બીજા પર મજાક કરે છે, આ ૧-૨ એપ્રિલનો દિવસ હોય છે. ડેનમાર્કમાં પણ આ દિવસ મનાવવામાં આવે છે અને તેને મજ-કટ કહેવાય છે. ઉપરાંત સ્પેનિશ બોલતા દેશોમાં ૨૮ ડિસેમ્બરે એપ્રિલ ફૂલ મનાવવામાં આવે છે, જેને ડે ઑફ હોલી ઈનોસેંટ્સ કહેવાય છે. આમ, એપ્રિલ ફૂલ ડે ની શરૂઆત ક્યારે અને કઈ રીતે થઈ એ એક રહસ્ય જ છે. લોકો એકબીજાની સાથે મજાક કરે છે અને અંતે, ‘એપ્રિલ ફૂલ’ બનાવ્યા કહીને ખુદ જ કહી પણ દે છે કે આ એક મજાક હતી.

એપ્રિલ ફૂલને જનતા સુધી પહોંચાડવામાં અનેક બ્રાન્ડ્સ અને મીડિયા પણ પાછળ નથી રહ્યા. ભારતમાં તો ૧૯૬૪ માં “એપ્રિલ ફૂલ” નામથી ફિલ્મ પણ બની ચૂકી છે, જેનું ગીત ‘એપ્રિલ ફૂલ બનાયા, ઉનકો ગુસ્સા આયા’. આ ગીતને આજે પણ ૧ એપ્રિલે ખૂબ યાદ કરવામાં આવે છે. જેમ જેમ સમય બદલાયો, એપ્રિલ ફૂલ મીડિયામાં પણ પ્રચલિત થઈ ગયું. ૧૯૫૭ માં BBCએ રિપોર્ટ આપ્યો કે સ્વિસ ખેડૂતોએ નૂડલ્સનો પાક ઉગાડ્યો છે. એના પછી હજારો લોકોએ BBCને ફોન લગાવીને ખેડૂતો અને પાક વિશે પૂછપરછ કરી હતી.

આજ કાલ આપણે લોકો સોશિયલ મીડિયાના યુગમાં રિયલને બાજુ પર મૂકીને રીલ્સના સહારે આનંદ કે મજાક માણતા થઇ ગયા છે ત્યારે આજે ૧ એપ્રિલે આપણી આસપાસના રીયલ લોકો કે જે આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે તેમની સાથે થોડી મજાક, મસ્તીને રમૂજ કરીએ અને તેમને રોજીંદા યંત્રવત જીવનના તણાવમાંથી થોડી રાહત આપી તેમના ચહેરા પર હાસ્ય લાવવાનો પ્રયત્ન કરીએ તથા આ મજાક મસ્તી કોઈના માટે જીવલેણ સાબિત ન થાય અને એપ્રિલ ફૂલ ડેની આડમાં આપણે કોઈ ધર્મ, જાતિ, જ્ઞાતિ કે અન્ય કોઈ રીતે મજાક કરી તેમની લાગણી ન દુભાવીએ તેવી શુભેચ્છાઓ.

શહીદ દિન વિશેષ: ભગતસિંહ વિશેની ભ્રામક વાતો અને સત્ય

March 23rd, 2024

“इस कदर वाकिफ है, मेरे जज्बातों से मेरी कलम,

मैं “इश्क़” भी लिखना चाहू तो “इंकलाब” लिख जाता है”

આ શબ્દો છે શહીદ ભગતસિંહના. ૨૩ માર્ચ,૧૯૩૧ ના દિવસે ભગતસિંહ, સુખદેવ, અને રાજગુરુને અંગ્રેજોએ ફાંસીના માચડે ચઢાવી દીધેલ. આજે ભગતસિંહને જાણ્યા કે સમજ્યા વિના સોશિયલ મીડિયામાં ગપગોળા ચાલે છે. ત્યારે આજે વાત કરવી છે ભગતસિંહ વિષે ચલાવવામાં આવતી ભ્રામક વાતો સામે તે અંગેના સત્ય વિશે.

આજનો સત્તાધારી પક્ષ એનકેન પ્રકારે ભગતસિંહના ક્રાંતિકારી વિચારોને પોતાના જમણેરી રાજકીય વિચારધારા સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ જાણવું ખૂબ જરૂરી બને છે ભગતસિંહ સામ્યવાદી વિચારધારામાં વિશ્વાસ ધરવતા હતા. એટલે કે ડાબેરી વિચારધારામાં અને નહિ કે જમણેરી વિચારધારામાં. ભગતસિંહ કિશોરાવસ્થામાં જ કાર્લ માર્ક્સ અને લેનિનની વિચારધારાના રંગે રંગાઈ ગયા હતા. તેમને બોલ્શેવિક ક્રાંતિમાંથી પ્રેરણા મળી હતી અને લેનિન તેમના આદર્શ હતા. તેઓ ભારતની સમસ્યાઓનું સમાધાન સોવિયત સંઘની સામ્યવાદી ક્રાંતિમાં હોવાનું માનતા હતા. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ સંસદમાં ફેંકેલા ચોપાનિયામાં દાસ કેપિટલના મૂળભૂત સિદ્ધાંતો અને સામ્યવાદી ઢંઢેરાના મુખ્ય બાબતો હતી. તેમાં લખ્યું હતું કે – “જ્યાં સુધી એક મનુષ્ય બીજા મનુષ્યનું અને એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રનું શોષણ બંધ નહીં કરે, ત્યાં સુધી માનવતાને તેની સાથે સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો નહીં મળે.” તેઓ કહેતા કે સરકાર કે શાસન બદલવાથી કોઈ ફરક પડવાનો નથી, હકીકતમાં વ્યવસ્થા બદલવાની જરૂર છે. આ ચોપાનિયામાં વધુમાં લખ્યું હતું કે – “દુનિયા એક વખત મૂડીવાદના સંકજામાંથી અને સામ્રાજ્યવાદી યુદ્ધના વિનાશમાંથી મુક્ત થઈ જશે પછી જ માનવતા ખરા અર્થમાં ખીલી શકશે.”

ભગતસિંહ સંપૂર્ણ માનવજાતની વાત કરે છે, જ્યારે હાલની સત્તાધારી પક્ષની નીતિઓમાં દેશના મૂડીવાદીઓનો પ્રાધાન્ય મળી રહ્યું છે અને નહીં કે શ્રમજીવીઓને. સામ્યવાદી વિચારધારા મુજબ ધર્મ સમાજને જોડવાને બદલે તોડે છે અને માર્ક્સે કહ્યું છે કે ધર્મ સમૂહ માટે અફીણ છે. ભગતસિંહ ચુસ્ત સામ્યવાદી અને નાસ્તિક હતા. એટલું જ નહીં તેઓ ક્યારેય પોતાને નાસ્તિક જાહેર કરતાં ગભરાતા નહોતા. તેમણે “હું શા માટે નાસ્તિક છું” શીર્ષક સાથે નિંબધ લખીને પોતાના નાસ્તિક હોવાના કારણો તર્કબદ્ધ રીતે રજૂ કર્યા હતા. ભગતસિંહને જાણવા-સમજવા હોય તો આ નિબંધનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. તેમાં તેમણે ઈશ્વરના અસ્તિત્વને પડકાર ફેંક્યો હતો. તેમણે પૂછ્યું હતું કે – “જો ઈશ્વર છે તો દુનિયામાં આટલું બધું દુઃખ કેમ છે? દુનિયામાં આટલી મોટી સંખ્યામાં લોકો દરિદ્ર કેમ છે? તેમણે લખ્યું છે કે – “જો તમે માનતા હોય કે સર્વશક્તિમાન, સર્વજ્ઞ અને સર્વવ્યાપી ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, તો તેણે આવી દુઃખી, પીડિત અને પાપથી ખદબદતી દુનિયાનું સર્જન શા માટે કર્યું? આમ, ભગતસિંહ ગરીબો, મજુરો અને વંચિતોના મુદ્દાને પ્રાધાન્ય આપી મુડીવાદી વિચારધારાનો વિરોધ, ધર્મનિરપેક્ષતાની તરફેણ અને કટ્ટર રાષ્ટ્રવાદને બદલે સમાનતામાં આગ્રહ ધરાવતી ડાબેરી વિચારધારામાં વિશ્વાસ રાખતા હતા અને નહિ કે કટ્ટર રાષ્ટ્રવાદી, પરંપરાવાદી અને કટ્ટર ધાર્મિક વલણ અપનાવતી જમણેરી વિચારધારામાં.

મહદઅંશે આપણી સમક્ષ ભગતસિંહને હાથમાં બંધૂક કે બોમ્બ રાખનાર હિંસક વ્યક્તિત્વ તરીકે પ્રસ્તુત કરવામાં આવતા હોય છે. પરંતુ તેઓ પુસ્તકોના ચાહક અને વાંચન-લેખનનોનો શોખ ધરાવતા હતા. ભગતસિંહ ફાંસીની થોડી ક્ષણો અગાઉ, સામ્યવાદી નેતા અને તેમના આદર્શ લેનિન વિશેનું પુસ્તક વાંચી રહ્યા હતા. ભગતસિંહે લાહોર જેલવાસમાં ૪૪૦ પાના ભરીને અસ્પૃશ્યતા અને કોમવાદ વિરુદ્ધ લખેલું. તેમણે ‘કીર્તિ’ મેગેઝિનમાં એપ્રિલ ૧૯૨૮ માં લખેલું કે “ભારતના નૌજવાનો ટર્કી કે રશિયા કે જાપાનના યુવાનોના સંઘર્ષ કે દેશપ્રેમ વિશે જાણે છે? આપણા યુવાનો શું કરે છે? કોઇ અમુક ઝાડની ડાળ કાપી જાય તો લોકોની ભાવનાને ઠેસ લાગી જાય છે. તાજિયાના પૂતળાનો ટુકડો તૂટી જાય તો એકમેકના લોહીના પ્યાસા થઇ જાય છે. આપણી વિચારધારા સંકુચિત દાયરામાં કેદ છે જ્યારે દુનિયાના યુવાનો આંતરરાષ્ટ્રીય સ્તર પર વિચારે છે.”

ભગતસિંહ અને ગાંધીજીને લઈને અનેક ભ્રામક વાતો આજે ફેલાઈ રહી છે ત્યારે આ જાણવું જરૂરી છે કે સશસ્ત્ર ક્રાંતિકારી ભગતસિંહ અહિંસક ગાંધીજીને પણ માન આપતા. જૂન, ૧૯૨૮ના ‘કીર્તિ’ મેગેઝિનમાં બારડોલી સત્યાગ્રહ અને કિસાન આંદોલનો વિશે ત્રણવાર ગાંધીજીનો ‘મહાત્મા’ તરીકે ઉલ્લેખ કરેલો! કાર્લ માર્ક્સના ચાહક હોવા છતાં ગાંધી-ચીંધ્યાં આંદોલનોમાં જોડાવા દેશના યુવાનોને આહ્વાન કરતા. (પ્રો. ચમનલાલ લેખિત પુસ્તક ‘ભગત સિંહ ઔર ઉનકે સાથિયો કે દસ્તાવેજ’) ભગત સિંહના સાથી ચંદ્રશેખર આઝાદ તો અંગ્રેજોની ૨૧ વાર સોટીઓ ખાઇને ‘મહાત્મા ગાંધી કી જય’ પોકારેલા અને જખ્મો પર સરકારી દવા લગાડવાથી ઇન્કાર કરેલો! એક એવી પણ ભ્રામક વાત ફેલાવવામાં આવે છે કે ભગતસિંહની ફાંસી રોકવા ગાંધીજીએ કશું ના કર્યું, પરંતુ ગાંધીજીએ લોર્ડ ઇર્વિન સાથે કરાર કરેલો અને ઇર્વિને ગાંધીજીને ભગતસિંહની ફાંસી રોકવા મૌખિક રીતે ‘હા’ પણ પાડેલી એવું ગાંધીજીના ટીકાકાર આંબેડકરજીએ, ભગત સિંહની ફાંસી પછી ૪ એપ્રિલ, ૧૯૩૧ ના રોજ ‘જનતા’ પત્રિકામાં લખેલું! આ કરારમાં અહિંસક ચળવળમાં પકડાયેલા બધા કેદીઓને છોડી મૂકવાની વાત હતી. પરંતુ રાજકીય હત્યાના આરોપસર ફાંસીની સજા પામેલા ભગતસિંહને આ કરાર હેઠળ માફી ન મળી. બીજા ઘણા કેદીઓને પણ ન મળી. ફાંસીની સજાને રોકવા માટે અપરાધીએ ખુદ માફીનામું આપવું પડે માટે, ગાંધી-નેહરુએ માફીનામા માટે ભગતસિંહના પરિવારને ખૂબ સમજાવેલા, પણ ભગતસિંહે પોતે પરિવારને માફીનામાની ચોખ્ખી ના પાડેલી બલ્કે ઇચ્છેલું કે ફાંસી થવાથી દેશના જુવાનો વધુ ઉશ્કેરાય, ચળવળો થાય ને રશિયા જેવી સશસ્ત્ર ક્રાંતિ સર્જાય. ભગતસિંહની ફાંસીની સજાને લઈને ગાંધીજીએ જુદા જુદા ઠેકાણે કરેલ ઉલ્લેખ અનુસાર, ગાંધીજી જણાવે છે કે,

“ભગતસિંહની બહાદુરી માટે આપણને માન ઊપજે છે, પણ મારે તો એવો આત્મભોગ જોઈએ છે કે જેમાં બીજાને ઈજા કર્યા વિના…લોકો ફાંસીના માંચડે ચડવા તૈયાર થાય.”

“મારાથી સમજાવી શકાય એટલી રીતે મેં વાઇસરૉયને સમજાવી જોયા. મારી સમજાવટની જેટલી શક્તિ હતી તે બધી મેં તેમના પર અજમાવી… ૨૩મીએ સવારે વાઇસરૉયને એક અંગત કાગળ લખ્યો. એમાં મેં મારો આખો આત્મા રેડ્યો હતો. પણ એ વ્યર્થ નીવડ્યો.”

ભગતસિંહને ફાંસી થઈ જેમાં સૌથી મહત્ત્વની ભૂમિકા સરકારી સાક્ષી બની ગયેલા કેટલાક ક્રાંતિકારી સાથીદારોની હતી. પરંતુ તેનો ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી અને આ મુદ્દાને લઈને ગાંધીજીએ કશું ન કર્યું તેવા ગપગોળા અને ભ્રામક વાતો ખુબ જ ચાલવામાં આવે છે કારણ કે, આમ, કરવાથી જમણેરી વિચારધારા ધરાવતા રાજકીય પક્ષોને તેનો ચોખ્ખો રાજકીય લાભ મળે છે. પરંતુ આપણે સૌએ એ વિચારવું રહ્યું કે ભગતસિંહના નામને પચાવી પાડનાર જમણેરી વિચારધારા ધરાવતા રાજકીય પક્ષો ભગતસિંહ ડાબેરી વિચારસરણી ધરાવતા, નાસ્તિક, બૌદ્ધિક અને કોમવાદના કટ્ટર વિરોધી હતા તેવું સ્વીકારશે ખરા?

અંતમાં, ભગતસિંહના શબ્દો,

“तर्क किए बिना किसी बात को आँख मूंदकर मान लेना भी एक प्रकार की मानसिक गुलामी है”

સંદર્ભ

  • https://yourstory.com/gujarati/f8488b42f9–quot-bhagat-singh-lokacahanano-khatanara-advantage-of-their-communist-ideas-is-acceptable-quot-
  • https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/rang-de-basanti-chola-satyo-ne-tathyothi-129543325.html
  • https://www.bbc.com/gujarati/india-45710284

IIॐ हौं जुं सः ॐ भूभुवः स्वः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धनान् मृत्युर्मोक्षिय मामृतात् ॐ स्वः भुवः भूः ॐ सः जूं हों ॐ II

March 8th, 2024

મહાશિવરાત્રી સાથે ભગવાન શિવની કેટલીક માન્યતાઓ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ આ વિશેષ દિવસે મધ્યરાત્રીએ બ્રહ્માના રુદ્ર રૂપમાં ઉતર્યા હતા. તો ક્યાંક એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવે તાંડવ કરીને પોતાની ત્રીજી આંખ ખોલી હતી અને આ આંખની જ્યોતથી બ્રહ્માંડનો અંત કર્યો હતો. આ ઉપરાંત ઘણી જગ્યાએ આ દિવસ ભગવાન શિવ ના લગ્ન સાથે પણ સંકળાયેલ હોવાનું પણ માનવામાં આવે છે. જે માન્યતા મુજબ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન આ પવિત્ર દિવસે થયા હતા. મહાશિવરાત્રીની રાત્રી નું એક આગવું મહત્વ છે. બપોરના સત્ર બાદ સાંજથી ભગવાન મહાદેવની ચાર પ્રહર નીપૂજા વિધિ કરવામાં આવે છે.સાંજે 6.00 વાગ્યા થી 9:00 વાગ્યા સુધી પ્રથમ પ્રહર ની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ રાત્રે 9:00 થી 12.00 વાગ્યા સુધી બીજા પ્રહર ની પૂજા કરવામાં આવે છે. મધ્યરાત્રીએ 12.00 થી 3.00 ત્રીજા પ્રહર ની પૂજા કરવામાં આવે છે અને સવારે 3.00થી છ વાગ્યા સુધી ચોથા પ્રહરની પૂજા થતી હોય છે. મહાશિવરાત્રી એ ભગવાન શિવની શુભરાત્રી છે. આખા વર્ષમાં ચાર પ્રકારની રાત્રીઓનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે તે દરમિયાન જો પૂજા અર્ચના કરવામાં આવે તો અનેક ગણું ફળ મળતું હોય છે. કાળી ચૌદસ એટલે કે કાલરાત્રી જન્માષ્ટમી એટલે કે કૃષ્ણ જન્મ, નવરાત્રી માં ભગવતી ની ઉપાસના અને મહાશિવરાત્રી એટલે ભગવાન શિવ ની ઉપાસના. મહાશિવરાત્રીના દિવસે પ્રદોષ હોય પ્રદોષ કાળે મહાદેવજીનું જો પૂજન કરવામાં આવે તો અનેક ગણું ફળ મળતું હોય છે. શુક્રવારે મહાશિવરાત્રી અને પ્રદોષ હોય મહાલક્ષ્મી ની કૃપા મેળવવા માટે પણ આ દિવસ ખૂબ જ ઉત્તમ છે. આપણા ત્યાં એવી માન્યતા છે કે ભગવાન મહાદેવને માત્ર જળ અર્પણ કરો એટલે મહાદેવજી રીઝી જાય. એવું ના હોય, કંઈ ના કરો એના કરતાં જળ અર્પણ કરો એ પણ શ્રેષ્ઠ છે પરંતુ ભગવાન મહાદેવની પૂજા બહુ જ વિધિ વિધાનથી કરવામાં આવે છે. ભગવાન મહાદેવજીનું પૂજન પંચોપચાર.સોડસોપચાર, તેમજ રાજોપચાર પૂજન પણ કરવામાં આવતું હોય છે. શિવપુરાણમાં બધા જ જ્યોતિર્લિંગ ની કથા છે. કરોડો જ્યોતિર્લિંગ છે જેમાં બાર મુખ્ય જ્યોતિર્લિંગ છે. જ્યોતિ એટલે પ્રકાશ અને લિંગ એટલે ચીનહ્. તેને જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. શિવ પુરાણના ત્રણ ભાગ છે. જેમાં પ્રથમ ઉત્તમાંમ શિવપુરાણ જેમાં 11 દિવસ શિવજી ની ચર્ચા થાય.બીજું મધ્યમાંમ જેમાં નવ દિવસ સુધી શિવ નું અર્ચન કરવામાં આવે અને ત્રીજું કનિષ્ઠામ જેમાં સાત દિવસ સુધી ભગવાન શિવ નું પૂજન અર્ચન કરવામાં આવે. આપણે યાદ રાખવું જોઈએ શિવ મંત્રના રહસ્યને માત્રને માત્ર શિવ જ જાણે છે. જો તમારે ભગવાન શિવના મંત્ર નું પ્રમાણ જોઈતું હોય તો શિવરાત્રીના દિવસથી સતત ત્રણ વર્ષ સુધી કોઈપણ મંત્ર ની શરૂઆત કરો. તમને અવશ્ય કોઈપણ કાર્યમાં સફળતા મળે મળે અને મળે જ. અમારા બ્રાહ્મણોના ઇષ્ટદેવ ભગવાન મહાદેવ છે. જો તમારે જ્યોતિષ વિદ્યામાં પારંગત થવું હોય તો ભગવાન મહાદેવની ઉપાસના કરવી જોઈએ. જો તમારે સંગીત વિદ્યામાં પારંગત થવું હોય તો તમારે ભગવાન મહાદેવ ની ઉપાસના કરવી જોઈએ. તમારે કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવા માટે જ્ઞાનની જરૂર પડે તેના માટે હંમેશા ભગવાન મહાદેવની જ ઉપાસના કરવી જોઈએ. ભગવાન મહાદેવ જ્ઞાનનો ભંડાર છે એટલા માટે વિદ્યાર્થીઓએ તેમના સ્ટડી રૂમમાં હંમેશા ભગવાન મહાદેવ નો ફોટો અવશ્ય રાખવો જોઈએ. આપણી સંસ્કૃતિમાં કહ્યું છે જો કોઈ રોગને શરીરમાં પ્રવેશવા ન દેવો હોય તો મંત્ર જાપ સૌથી શ્રેષ્ઠ થેરાપી છે. મહામૃત્યુંજય મંત્ર ની અસર શરીરના અલગ અલગ ભાગમાં થાય છે. ત્રયમ્બકમ બોલવાથી મસ્તકમાં તેની અસર થાય છે. યજામહે બોલીએ એટલે કમરથી નીચેના ભાગમાં તેની અસર થાય છે. મૃત્યુરમોક્ષીય બોલીએ એટલે છાતીમાં તેની અસર થાય છે. મંત્ર બોલવાથી આપણા દરેક સ્નાયુઓમાં હવા ફરતી રહે છે અને નળીઓ ઓછી બ્લોક થાય છે. કમ સે કમ કંકુ ને લલાટમાં લગાવી તેનું તિલક કરવું જોઈએ. ભગવાન મહાદેવના ઉપાશકો લલાટમાં ભસ્મ લગાવી તેનું ત્રિપુન્ડ કરતા હોય છે. જેના મસ્તક પર તિલક હોય છે તેને એક પણ વાયરલ ઇન્ફેક્શન લાગુ પડતું નથી. ગાયના છાણમાં 49 ટકા પ્રાણવાયુ હોય છે. તેની ભસ્મ બને એટલે 10% વધુ પ્રાણ વાયુ વધી જતો હોય છે અને ભસ્મ લગાવો એટલે 60 ટકા પ્રાણ વાયુ ભસ્મમાં રહેલો હોય છે. ભસ્મ ભગવાન મહાદેવને અતિ પ્રિય છે. એટલા માટે જ કહેવાય છે ચપટી ભભૂત મેં હૈ ખજાના કુબેર કા. ખરેખર આપણી ભારતીય સંસ્કૃતિને વંદન છે. મિત્રો ચંદન કરતા વંદન વધુ શીતળ હોય છે એટલે જ ભગવાન શિવને આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ “વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગતકારણમ. વંદે પનનગ ભૂષણમ મૃગધરમ વંદે પશુનામપતિમ. વંદે સૂર્ય શશાંક વહની નયનમ વંદે મુકુંદમ પ્રિયમ. વંદે ભક્તજના શ્રયસ્ચ વરદમ વંદે શિવમ શંકરમ…. અમારી youtube ચેનલ Jatin Raval’s Change your Life માં શિવ પૂજન નો 11 મિનિટ નો વિડીયો મુક્યો છે. જેના થકી આપ સહુ 11 મિનિટમાં બહુ જ સરસ રીતે શિવપૂજન કરી શકશો. આપણા અતિ પવિત્ર એવા મહાશિવરાત્રીના વિશેષ પર્વમાં ભગવાન મહાદેવજીનું ખૂબ જ ભાવપૂર્વક પૂજન કરી ભગવાન મહાદેવના આશીર્વાદ ગ્રહણ કરીએ તેમજ ભગવાન મહાદેવ સૌનું કલ્યાણ કરે તેવી આપ સૌને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામના…II ૐ નમઃ શિવાય… II

रोगों को फुर्सत कहां, दें आकर संत्रास,
पता लगा कर पहुंचते,हैं हम उनके पास.
उमेश श्रीवास्तव.

April 27th, 2024

ઉનાળું વેકેશન: બાળકો માટે જીવનના નવા આયામો આંબવાનો ઉત્તમ અવસર

April 27th, 2024

तू इधर उधर की न बात कर ये बता की काफिला क्यों लुटा, मुझे रहजनो से गिला नहीं तेरी रहबरी का सवाल है

April 14th, 2024

લિફ્ટમેન
(એક કરુણ કહાની)

April 14th, 2024

“વ્યાપારી ની દ્રષ્ટિએ:વ્યાપાર

April 14th, 2024

II ॐ भूर्भुव स्वः तत्सवितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो योन प्रचोदयात् II

April 14th, 2024

સામાજિક પુનઃઉત્થાન, માનવ કલ્યાણ અને વ્યક્તિત્વ વિકાસ અર્થે ડૉ. બાબા સાહેબ આંબેડકરના પ્રેરણાદાયી વિચારો

April 14th, 2024

દિન વિશેષ: ૧ એપ્રિલ – “એપ્રિલ ફૂલ” – મજાક, મસ્તી અને રમૂજનો દિવસ…!

April 1st, 2024

શહીદ દિન વિશેષ: ભગતસિંહ વિશેની ભ્રામક વાતો અને સત્ય

March 23rd, 2024

IIॐ हौं जुं सः ॐ भूभुवः स्वः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धनान् मृत्युर्मोक्षिय मामृतात् ॐ स्वः भुवः भूः ॐ सः जूं हों ॐ II

March 8th, 2024