*મુખ્યમંત્રીએ અમદાવાદમાં નવનિર્મિત શ્રી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસનું લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં 83 કરોડના ખર્ચે તૈયાર થયેલ જી.એમ.આર.સી, એ.એમ.સી. અને રેલ્વે દ્વારા સહ નિર્મિત શ્રી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પાલડી અંડરપાસ પાલડી ક્રોસ રોડને લૉ ગાર્ડન સાથે જોડે છે તથા આંબાવાડી, લૉ ગાર્ડન, પાલડી તથા નવરંગપુરાના રહેવાસીઓ માટે સારી કનેક્ટિવિટી પ્રદાન કરવામાં મદદ કરશે. આ અંડરપાસના કારણે અમદાવાદ-બોટાદ રેલવે લાઈનની ટ્રાફિકની સમસ્યામાં રાહત થશે.

આ અંડરપાસની અન્ય વિશેષતાઓમાં, તેની બંને બાજુની દિવાલો પર આર્ટવર્ક છે જે અમદાવાદના કોટવિસ્તારનો વારસો, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની ઝલક દર્શાવે છે. 4 લેનના આ અંડર પાસની લંબાઈ 450 મીટર અને પહોળાઇ 16.6 મીટર છે.

83 કરોડના ખર્ચે નિર્મિત શ્રી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસને જી.એમ.આર.સી દ્વારા 47 કરોડ, એ.એમ.સી. દ્વારા 33 કરોડ અને રેલ્વે દ્વારા ૩ કરોડમાં મળી સહ નિર્માણ કરવામાં આવ્યો છે.

પાલડી અંડરપાસના લોકાર્પણ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, ધારાસભ્ય અમિતભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, મ્યુનિસિપલ શાસક પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શીતલબહેન, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટર એસ.એસ. રાઠોડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ થેન્નારસન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Social