સરખેજમાં જમીન મામલે 50થી 100 માણસોનું ટોળું હથિયારો સાથે ઘસી આવ્યુ, 10થી 15 રાઉન્ડ ફાયરિંગ, પોલીસે નોંધ્યો રાયોટિંગનો ગુનો
અમદાવાદમાં જમીન પર કબજા માટે ફાયરિંગ કરાતા ચકચાર મચી છે. જમીન દલાલ ભરતભાઈ અલગોતરે પોલીસ ફરિયાદ નોધાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જમીન મામલે સમાધાન કરવા માટે બેઠક કરવામાં આવી ત્યારે 50થી 100 માણસોનું ટોળું હથિયારો સાથે ઘસી આવ્યુ હતું. આ દરમિયાન ધડાધડ ફાયરિંગ કરાતા સમગ્ર વિસ્તારમાં અફરા તફરી મચી ગઇ હતી. પોલીસે આર્મ્સ એક્ટ, હત્યા પ્રયાસ અને રાયોટિંગનો ગુનો નોધી તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં બનેલી ઘટનાનો મામલો માનવ અધિકાર પંચ સુધી પહોંચ્યો છે.
અમદાવાદના સરખેજમાં 10થી 15 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. જમીનની અદાવતમાં કબજો મેળવવા માટે દિપક વાઘેલા અને દિપક હરપરા નામના શખ્સો હથિયાર સાથે હવામાં અને જમીન પર ફાયરિંગ કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ જમીનના વિવાદમાં દલાલ ભરતભાઇ અલગોતરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે 23 ફેબ્રુઆરીએ 80થી 100 લોકોનું ટોળું વિવાદીત જમીન પર આવ્યુ હતું. અને આ જમીન મામલે જે વિવાદ છે તેમાં સમાધાન કરી લેવા માટે દલાલ ભરતભાઇ અલગોતરને બોલાવાયા હતા. જો કે ત્યાં દિપક વાઘેલા અને દિપક હરપરા નામના શખ્સોએ જમીન પર કબ્જો મેળવવા ઉપરાછાપરી હવામાં અને જમીન પર ફાયરિંગ કર્યું હતું. 23 ફેબ્રુઆરીની સમગ્ર ઘટનામાં પોલીસે આર્મ્સ એક્ટ, હત્યાનો પ્રયાસ અને રાયોટિંગની કલમો હેઠળ ગુનો નોધ્યો છે. બીજી બાજુ જમીનને લઇને ફાયરિંગની સમગ્ર ઘટના રાજ્યના માનવ અધિકાર પંચ સમક્ષ રજૂ થતાં ચકચાર મચી છે.
