સુરતમાં 24 કલાકમાં 3ના હાર્ટ ફેલ : ત્રણ યુવકો અચાનક ઢળી પડ્યા બાદ મોતને ભેટ્યા

   સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 3 યુવકોના હાર્ટ-એટેકથી મોત થયા હોવાની શંકા સેવાઈ રહી છે. શહેરના ડુમસ, પાંડેસરા અને વરાછા વિસ્તારના ત્રણ યુવકો અચાનક ઢળી પડ્યા બાદ મોતને ભેટ્યા હતા. જોકે, ત્રણેયના મોતનું સાચું કારણ રિપોર્ટમાં જાણવા મળશે, પરંતુ હાલ તો ત્રણેય યુવકોના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ડુમસના ગવિયર ગામની હનુમાન સ્ટ્રીટ ખાતે 35 વર્ષીય સાહિલ ચેતનભાઈ પટેલ પરિવાર સાથે રહેતો હતો. ગતરોજ સાહિલ રાત્રી દરમિયાન અચાનક ઢળી પડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. સાહિલ પટેલને કોઈપણ પ્રકારની બીમારી ન હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે.
  વરાછાના એકતાનગરમાં 32 વર્ષીય શૈલેષ પ્રવીણભાઈ રાઠોડ પરિવાર સાથે રહેતો હતો. ગતરોજ સાંજે ઘરે અચાનક બેભાન થઇ ગયા હતા. જેથી તેના ફઈ તાત્કાલિક શૈલેષને લઈને સ્મીમેર હોસ્પિટલ દોડી ગયા હતા. જોકે ફરજ પરના તબીબે તપાસી શૈલેષને મૃત જાહેર કર્યો હતો. શૈલેષને મૃતક જાહેર કરાતા પરિવારમાં શોકનો માલ છવાઈ ગયો હતો. જયારે પાંડેસરાના મરાઠાનગરમાં 50 વર્ષીય જીતેન્દ્ર મુરલીધર ભોઈટે પરિવાર સાથે રહેતા હતા. ગતરોજ જીતેન્દ્રભાઈ સુતા હતા. આ દરમિયાન તેમના મિત્ર ઘરે આવ્યા હતા અને તેને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે જીતેન્દ્રભાઈ ઉઠ્યા ન હતા. જેથી તેનો નાનો ભાઈ 108માં સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. હાલ તો આ ત્રણેયના મોત હાર્ટ-એટેકના કારણે થયા હોવાની શંકા સેવાઈ રહી છે. ત્રણેયના મોતનું સાચું કારણ રિપોર્ટમાં જાણવા મળશે. પરિવાર દ્વારા પોતાના સ્વજનો અને ગુમાવવાના પગલે શોકનો માહોલ છવાઈ ગયો છે.
Social