ગુજરાતમાં 13,600 સંવેદનશીલ મતદાન મથક, જાણો અહીંની સુરક્ષા વ્યવસ્થા

લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ચૂંટણી પંચ દ્વારા સઘન પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મતદાન મથકની આસપાસ નોંધાયેલા ગુનાઓને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ મતદાન મથકો શોધી કાઢવામાં આવતા હોય છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા સમક્ષ આવેલા આંકડાઓના આધારે આ મતદાન મથકો સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ નક્કી થાય છે.
રાજ્યમાં 50,787 મતદાન મથકોમાંથી 13600 જેટલા મતદાન મથકો સંવેદનશીલની યાદીમાં આવી રહ્યા છે. 2019 ની સરખામણીએ આ વખતે સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 450 જેટલો ઘટાડો નોંધાયો છે, જોકે આ વખતે 164 જેટલા મતદાન મથકો પણ ઘટ્યા છે.ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી કવાયત બાદ કેટલીક વિગતો બહાર આવી છે, જેમાં રાજ્યમાં મતદાન બિલ્ડિંગમાં આશરે 200નો વધારો નોંધાયો છે, કુલ મતદાન બિલ્ડિંગના 25% જેટલું થાય છે. સંવેદનશીલ મતદાન મથકો પર વિશેષ સશસ્ત્ર પોલીસ તેમજ હોમગાર્ડ અને વેબકાસ્ટિંગ સાથોસાથ એસઆરપી જવાનો તૈનાત કરવામાં આવશે.
હાલ રાજ્યમાં વિવિધ ઠેકાણે 72 જેટલી એસઆરપી કંપનીઓ તૈનાત છે અને 112 સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જરૂર જણાય ત્યાં આ ફોર્સ તૈનાત કરવામાં આવશે. ક્રિટિકલ મતદાન મથકો માટે 10 જેટલી SRP કંપનીનો ઉપયોગ કરવાનું પંચ દ્વારા નક્કી કરાયું છે.જણાવી દઈએ કે, રાજ્યમાં હોમગાર્ડનો 64,000 નો સ્ટાફ છે. આ સાથે જ, પોલીસ દળના કેટલાક આઇપીએસ કક્ષાના અધિકારીઓ ડી વાય એસ પી, પી એસ આઇ,પી.આઈ ને પણ બંદોબસ્તમાં મૂકવામાં આવશે.આ તમામ મતદાન મથકોની યાદી અલગ બનાવવામાં આવે છે અને તેના પર સઘન સુરક્ષા ગોઠવવામાં આવે છે. આ તમામ મતદાન મથકો પરથી લાઈવ વેબ કાસ્ટિંગ SRP જવાનો તેમજ વધારાની પોલીસ ફોર્સ મૂકવામાં આવે છે. આ મતદાન મથકોના આંકડા ગુપ્ત રાખવામાં આવે છે.

Social