હાઇકોર્ટ મામલો પહોંચ્યો : મહુડી મંદીરમા કરોડો રૂપિયા અને 130 કિલો સોનાની ઉચાપતનો આક્ષેપ
ગુજરાત હાઇકોર્ટમાં પોતાને સામજિક કાર્યકર્તા ગણાવતા અમદાવાદના જૈન જયેશ મહેતાએ એડવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે ગાંધીનગરના મહુડી મંદિરના નાણાકીય ગેરરીતિઓને લઈને જાહેર હિતની અરજી દાખલ કરી છે. તેને મહુડીની નાણાકીય ગેરરીતિઓ બાબતે તપાસની માંગ કરી છે. અરજદારે રાજ્ય સરકાર અથવા ચેરિટી કમિશ્નરને આ મુદ્દે તપાસ માટે પણ વિનંતી કરી છે. તેને મહુડી મંદિર ટ્રસ્ટના 2012 થી 2024 સુધીના આર્થિક વ્યવહારોની તપાસ કરવા માંગ કરી છે.
અરજદારે મહુડી મેનેજમેન્ટના સભ્યો ભૂપેન્દ્ર વોરા અને કમલેશ મહેતાના ભ્રષ્ટાચાર સામે સરકાર તપાસ કમિટી નીમે તેવી માંગ કરી છે. જયેશ મહેતાએ જણાવ્યું છે કે ગાંધીનગરમાં આવેલ મહુડી મંદિર 100 વર્ષ કરતા પણ વધુ જૂનું અને લોક આસ્થા ધરાવતું છે. આ મંદિર ટ્રસ્ટ દ્વારા 130 કિલો સોનું અને 14 કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. અગાઉ કમલેશ મહેતાએ 2019 માં રાજીનામું આપીને ભૂલોનો સ્વીકાર કર્યો હતો. ભ્રષ્ટાચાર અંગે માણસા પોલીસ મથકે અરજીઓ પણ અપાઈ હતી.કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ નોટબંધીના સમયે ટ્રસ્ટના સભ્યોએ 20 ટકા કમિશનથી લોકોને નોટો બદલી આપી હતી. એકાઉન્ટમાં ઘાલમેલ પણ કરવામાં આવી છે. મહુડી મંદિર મેનેજમેન્ટમાં અંદરો અંદર રાજકારણ ચાલી રહ્યું છે. કાયદા વિભાગના સચિવને પણ મહુડી ટ્રસ્ટના ભ્રષ્ટાચાર અંગે જાણ કરાઈ હતી.
વધુમાં જણાવ્યું છે કે આદર્શ કો-ઓપરેટીવ સોસાયટીના કૌભાંડી મુકેશ મોદીના નાણાથી મહુડી બેન્ક એકાઉન્ટ દ્વારા 65 કિલો સોનું ખરીદાયું હતું. જેને ચોપડે બતાવવામાં આવ્યું નથી. જેમાંથી ભુપેન્દ્ર વોરાએ પણ લાભ મેળવ્યો છે. લોકોએ મંદિરમાં ચઢાવેલ નાણાં પણ ચોપડે બતાવાતા નથી. 10 થી વધુ ફરિયાદની તપાસ માણસા પોલીસ મથકે ચાલી રહી છે.વડાપ્રધાન અને ગૃહ પ્રધાન મહુડી મંદિરે દર્શન કરવા આવ્યા હોય ત્યારે તેમની સાથેના ફોટાનો ટ્રસ્ટના ઉપરોક્ત લોકોએ દુરુપયોગ કર્યો છે. આદર્શ કો ઓપરેટિવ સોસાયટીના લોકોના ડૂબેલા નાણાંમાંથી અમદાવાદ શાહીબાગમાં આવેલ દ્વારિકા જ્વેલર્સમાંથી 65 કિલો સોનું ખરીદાયું છે. જેનું 16 ફેબ્રુઆરી, 2017 નું 19 કરોડનું બિલ પણ રજૂ કરાયું છે. અરજદારે દક્ષિણ ભારતના તિરુપતિ મંદિર જેવી પારદર્શિતા મહુડી મંદિરમાં લાવવા માંગ કરી છે. અમદાવાદ ચેરિટી કમિશ્નરમાં પણ આ સંદર્ભમાં 03 કેસ પેન્ડિંગ છે. ટ્રસ્ટના એકાઉન્ટ રીપોર્ટ પબ્લિક ડોમેઇનમાં મુકવા અરજદારે માંગ કરી છે. મંદિરના ટ્રસ્ટીઓએ પૈસાથી મંદિરના લોકો માટે સુવિધાઓ વધારવાની જગ્યાએ પોતાના સ્વાર્થ માટે પૈસા વાપર્યા હોવાનું જણાવ્યું છે.
