AMCની શારદાબેન હોસ્પિટલમાં વૃદ્ધનું બ્રેઇન હેમરેજનું સફળ ઓપરેશન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં સારવાર માટે આવેલા 60 વર્ષીય વૃદ્ધ અને મગજમાં લોહીની નસ ફાટી ગઈ હતી જેના કારણે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. સૌથી સઘન અને ખર્ચાળ એવા આ ઓપરેશનને હોસ્પિટલના ડોક્ટરોએ આસાનીથી પાર પાડી અને વૃદ્ધને નવજીવન આપ્યું હતું. PMJAY કાર્ડ હોવાથી તેઓને મફતમાં ઓપરેશન કરી આપવામાં આવ્યું હતું.

અમદાવાદના 60 વર્ષના અરજનભાઈ રાવલ મગજની બીમારીથી પીડાતા હતા. મગજની નિષ્ણાત ડોક્ટરો પાસે તપાસ કરાવતા મગજમાં લોહીની નસ ફાટી ગઇ હોવાથી તેનું તાત્કાલિક ઓપરેશન કરવું જરૂરી હતું. તેમના સગા-સંબંધી અરજણભાઈને અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં લઈ આવ્યા હતાં. 10 જૂનના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોક્ટરોએ તેમના તમામ પરીક્ષણો તથા સિટી સ્કેન કર્યા જેમાં તેમના મગજમાં લોહીની નસ ફાટી ગઇ એટલે કે બ્રેઈન હેમરેજ થયેલું હોવાનું જણાયું હતું. પરિવારજનોની સંમતિ લઈને નિષ્ણાત ડોકટરોની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં આ પ્રકારનું આ પ્રથમ ઓપરેશન હતું. મગજની ઉચ્ચતમ લેવલની કહી શકાય તેવી સર્જરીમાંની આ એક હતી. જેમાં મગજમાં લોહીની નસ ફાટી જાય તો એને તાત્કાલિક ધોરણે શસ્ત્રક્રિયા કરીને એ નસની ઉપર ક્લિપિંગ કરવાનું હોય છે, જો તેમ ન કરવામાં આવે તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે, ઓપરેશન કરવું ખૂબ જોખમી પણ હતું છતાં હોસ્પિટલના ડોક્ટરોએ અધ્યતન સાધનો-ટેકનોલોજી અને પોતાની તજજ્ઞતાની મદદથી આ અરજણભાઈના મગજની જટિલ કહી શકાય તેવી સર્જરી સફળ રીતે પાર પાડી છે.અરજણભાઈને સંપૂર્ણ સ્વસ્થ બનાવી માત્ર ત્રણ જ દિવસમાં રજા આપવામાં આવી છે. જો ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશન કરાવવામાં આવે તો ખૂબ જ મોટો ખર્ચ આવે પરંતુ અહીં પીએમજેવાય યોજનાના લીધે વિનામૂલ્ય ઓપરેશન કરવામાં આવ્યું છે. અરજણભાઈને નવું જીવન મળતાં પરિવારજનો ખુશી સાથે સરકાર અને હોસ્પીટલના તબીબો સહિત સમગ્ર સ્ટાફ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Social