ફલેટની ખરીદી કરવાનું કહીને બાનાખાત પેટે ચાર લાખ ચુકવ્યા બાદ બાકીના નાણાં નહી ચૂકવતા ફરિયાદ

જમશેદપુરમાં સ્ટીલ કંપનીમાં કામ કરતા અને બિહારના મુઝફરનગરમાં રહેતા પ્રણવ ઝા વર્ષ 2000 થી 2002 દરમિયાન અમદાવાદમાં રહેતા હતા. ત્યારે તેમણે ભવિષ્યમાં અમદાવાદમાં સેટ થવાનું હોવાથી વર્ષ 2018માં બેંક ઓફ મહારાષ્ટ્ર તરફથી કરવામાં આવેલી હરાજીમાં જીવરાજ બ્રીજ સેટેલાઇટમાં આવેલા સ્વપ્નીલ એપાર્ટમેન્ટમાં ફ્લેટની ખરીદી કરી હતી. પરંતુ પછી તેને મકાન ભાડે આપી દીધું હતું.

વર્ષ 2023માં તેમને મકાન વેચાણ કરવાનું હોવાથી બ્રોકર આશિષ વાણંદ (રહે.વિનસ પાર્ક લેન્ડ, વેજલપુર) અને રાહુલ નગવાડિયા (રહે. મધુસુદન સોસાયટી, જીવરાજ પાર્ક) નો સંપર્ક કર્યો હતો. આ મકાન વેચાણ માટે તેમણે વિજયાબેન પરમાર નામની મહિલા સાથે વાત કરીને મકાન બતાવીને રૂપિયા 40 લાખમાં સોદો નક્કી કર્યો હતો. જે પૈકી ચાર લાખ રૂપિયા એડવાન્સ પેટે લઇને બાનાખાત કરાર કરવામાં આવ્યો હતો. બાકીના 36 લાખની ચુકવણી બાદ પ્રણવભાઇએ વેચાણ દસ્તાવેજ કરી આપવાનું કહ્યું હતું. પરંતુ, વિજયાબેન બાકીના નાણાંની ચુકવણી કરી શક્યા નહોતા. જેથી પ્રણવભાઇએ ડીલ રદ કરવાનું કહ્યું હતું. પરંતુ, ફ્લેટની ચાવી આશિષ વાણંદ પાસે રહેતી હોવાથી તેણે વિજયાબેનને આપી દીધી હતી. તે તેમના પરિવાર સાથે વેચાણ દસ્તાવેજ વિના જ રહેવા માટે જતા રહ્યા હતા. બાદમાં બાનાખાત ચાર લાખ રૂપિયા પરત કરી આપ્યા બાદ વિજયાબેને ફ્લેટ ખાલી કરવાની ના કહીને પાંચ લાખની માંગણી કરીને મકાન પર ગેરકાયદેસર કબજો કર્યો હતો. જેથી આ અંગે અંતે સેટેલાઇટ પોલીસ મથકે વિજયાબેન સહિત બંને બ્રોકર સામે ફરિયાદ નોંધાવવામાં આવી.

Social