ફરાર થયેલા મોન્ટુ નામદારને આર્થિક મદદ અને આશરો સૌરાષ્ટ્રમાંથી મળ્યો હોવાની પોલીસને હકિકત મળી

પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા ભાજપ કાર્યકરના હત્યારા મોન્ટુ નામદાર ને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસની મહેરબાનીથી વર્ષો સુધી જુગારનો ગેરકાયેદસર ધંધો ચલાવતા મોન્ટુ નામદારે અંગત અદાવતમાં જૂન-2022માં ભાજપ કાર્યકરની હત્યા કરી નાંખી. જેલવાસ દરમિયાન મોન્ટુ ગાંધી ઉર્ફે મોન્ટુ નામદાર એક નહીં પરંતુ બબ્બે વખત ફરાર થઈ ચૂક્યો છે. પોલીસ જાપ્તા સાથે ગોઠવણ કરીને ફરાર થયેલા મોન્ટુને અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ અમદાવાદ શહેરમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસને જોઈને એક તબક્કે મોન્ટુએ ભાગી જવાનો પ્રયાસ પણ કર્યો હતો.

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર રાકેશ મહેતા ઉર્ફે બોબીની મોન્ટુ સુરેશચંદ્ર ગાંધી ઉર્ફે મોન્ટુ નામદારે જૂન-2022માં સાગરિતોની મદદથી હત્યા કરી હતી. હત્યા કેસમાં મોન્ટુ નામદારની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તારીખ 15 જૂન 2022ના રોજ ધરપકડ કરી હતી. સાબરમતી જેલમાં રહેલા મોન્ટુ નામદારે જેલ સત્તાધીશોને રૂપિયાનો ભોગ ધરાવી જાન્યુઆરી-2023માં બિલોદરા જેલ ટ્રાન્સફર કરાવી લીધી હતી. વર્ષ 2023ના જુલાઈ મહિનામાં મોન્ટુ નામદારને ગુજરાત હાઈકોર્ટે 14 દિવસના પેરોલ મંજૂર કર્યા હતા.14 દિવસના પેરોલ પૂર્ણ થતાં મોન્ટુ નામદાર જેલ ખાતે હાજર થયો ન હતો. ગત 15 સપ્ટેમ્બરના રોજ વૉન્ટેડ મોન્ટુ ખાડીયા વિસ્તારમાં સવારની પહોરમાં આંટાફેરા કરતા CCTV માં કેદ પણ થયો હતો. સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં અમદાવાદ પોલીસ હરકતમાં આવી હતી. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે મોન્ટુ ગાંધી ઉર્ફે મોન્ટુ નામદારને ઑક્ટોબર-2023માં રાજસ્થાન ખાતેથી પકડી જેલ હવાલે કર્યો હતો. અદાલતની કાર્યવાહી પૂર્ણ બાદ પોલીસ જાપ્તા પાર્ટી ગત 19 જૂનના રોજ મોન્ટુને બિલોદરા જેલ ખાતે લઈ જવાના બદલે ફાર્મ પર લઈ ગઈ હતી. ખેડા પોલીસ હેડ કવાટર્સ રિર્ઝવ પીએસઆઈ દર્શનકુમાર બાબુભાઇ પરમાર અને સ્ટાફ ફાર્મમાં ખાવા-પીવાની મોજ માણી રહ્યાં હતા અને મોન્ટુ નિર્ધારિત પ્લાન અનુસાર બિલ્લી પગે ફરાર થઈ ગયો હતો. ફરાર થયેલા મોન્ટુ નામદારને આર્થિક મદદ અને આશરો સૌરાષ્ટ્રમાંથી મળ્યો હોવાની પોલીસને હકિકત મળી છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ આ દિશામાં તપાસ આરંભી છે. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર મોન્ટુ નામદાર અસલાલીથી સૌ પ્રથમ રાજકોટ જિલ્લામાં ગયો હતો. રાજકોટથી નીકળી આબુ રોડ, ઉદેપુર, કોટા, વારાસણી અને ઉત્તરપ્રદેશના સુલતાનપુરા પહોંચ્યો હતો. સુલતાનપુરામાં ચારેક દિવસના રોકાણ બાદ તે ઉદેપુર પરત ફર્યો હતો. ઉદેપુરથી અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા પિતરાઈ મિલન નામદારના ઘરે મોન્ટુ પહોંચતા પોલીસે પકડ્યો હતો. ભાજપ કાર્યકરના હત્યા કેસમાં મોન્ટુ નામદાર સામે અદાલતમાં ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. કોર્ટ ટ્રાયલથી બચવા અને કેસની પતાવટ કરવા માટે મોન્ટુ નામદાર છેલ્લાં કેટલાંય મહિનાઓથી પ્રયત્નશીલ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. જેલમાં રહીને અદાલતમાં આવતા અવરોધ દૂર કરી શકાય તેમ નહીં હોવાથી મોન્ટુ નામદારએ ભાગવાનો પ્લાન બનાવ્યો હતો. જો કે, આ મામલે હજુ સુધી કોઈ ઠોસ માહિતી પોલીસ મેળવી ન શકી હોવાની વાતો છે.

Social