રૂ.50ના ભાવનો IPO લાગ્યાનું કહી સાયબર ગઠિયાએ રૂ.8 લાખ ખંખેર્યા
શેરબજારમાં રોકાણના બહાને સાયબર ગઠિયાઓએ ઈન્સ્યોરન્સ એજન્ટ પાસેથી રૂ.8 લાખ પડાવી લીધા હતા. આટલું જ નહીં અપડેટ વાળી એપ્લિકેશન ઈન્સ્ટોલ કરાવડાવી રૂ.50 ના ભાવવાળો આઈપીઓ લાગ્યાનું કહી રૂ.11 લાખ માંગ્યા હતા. જેથી એજન્ટે અગાઉ રોકેલા પૈસા વિડ્રો કરીને તેમાંથી લેવાનું કહેતા તેનો ક્રેડિટ સ્કોર ઓછો હોવાથી પૈસા ઉપાડી શકશે નહીં તેવું કહેતા શંકા જતા યુવકે ફરિયાદ નોંધાવી હતી.
ન્યૂ રાણીપના ચિરાગ પ્રજાપતિએ સોશિયલ મીડિયા પર શેરમાર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટની એડવાઈઝરી જોઈ હતી. ત્યારબાદ તે ગ્રૂપના એડમિને તેમને ગ્રૂપમાં એડ કર્યા હતા. અઢી મહિના સુધી શેર માર્કેટ અને આઈપીઓને લગતી ટીપ્સ આવતી હતી. ચિરાગ પ્રજાપતિએ સંમતિ બતાવ્યા પછી એક લિન્ક મોકલીને એપ ડાઉનલોડ કરાવડાવી હતી.
એ પછી યુવકે ધીરે ધીરે રોકાણ શરૂ કર્યુ હતું. યુવકે જુલાઈ 2024 સુધીમાં એપમાં ટુકડે ટુકડે 8 લાખનું રોકાણ કર્યું હતુ.ં 2 જુલાઈએ ગ્રૂપ એડમિન પ્રિયલ બાગરી અને પ્રિતી રાઠીએ કહ્યું કે,જૂની એપ બંધ થઈ ગઈ છે નવી અપડેટ કરવી પડશે. યુવકે નવી એપ ઈન્સ્ટોલ કર્યા પછી એવું કહેવાયું હતું કે, રૂ.2 હજારની કિંમતના શેરનો આઈપીઓ તમને રૂ.50ની કિંમતમાં લાગ્યો છે. પણ આ માટે 11 લાખ ભરવા પડશે. યુવકે પૈસા ન હોવાથી એપમાંથી ઉપાડવાની વાત કરી પરંતુ સાયબર ગઠિયાએ એવું કહ્યું કે, તમારો ક્રેડિટ સ્કોર ઓછો છે માટે પૈસા ઉપડી શકશે નહીં. આ માટે તમારે વધારાના પૈસા ભરવા પડશે.
