અમિતભાઈ શાહના હસ્તે શેલામાં પદ્મભૂષણ શ્રી રજનીકાંત શ્રોફ સરોવર અને પબ્લિક પાર્કનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદના શેલા ગામ ખાતે નિર્મિત પદ્મભૂષણ શ્રી રજનીકાંત શ્રોફ સરોવર અને ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજિત 21 કરોડના ખર્ચે નિર્માણ પામેલા તળાવ અને પબ્લિક પાર્કની કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે મુલાકાત લીધી હતી.

તળાવના ઉદ્ઘાટન પ્રસંગ નિમિત્તે અમિતભાઈ શાહ તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, દસ્ક્રોઇના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ કિરીટસિંહ વાઘેલા તેમજ સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વિસ્તારના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તળાવના આકર્ષણો
જિલ્લા વહીવટી તંત્ર, AUDA કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સ્બિલિટી (CSR) અંતર્ગત UPL કંપનીના સહયોગથી તળાવનું બ્યૂટિફિકેશન કરવામાં આવ્યું છે. આ તળાવ 8.2 હેકટર વિસ્તારમાં ફેલાયેલું છે. જ્યાં વૉકવે, પાર્કિંગ, એન્ટ્રી ગેટ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. સાથોસાથ લોન તથા વૃક્ષોનું વાવેતર કરીને આસપાસનો વિસ્તાર રમણીય બનાવવામાં આવ્યો છે. નાગરિકોના મનોરંજન માટે પબ્લિક પાર્ક પણ બનાવવામાં આવ્યો છે. અંદાજિત 14,000 ચોરસ મીટરમાં વિસ્તરેલા આ પાર્કમાં લગભગ 40 ચોરસ મીટરના સ્ટેજ સાથે ઓપન થિયેટર, સીસી વૉકવેઝ, પાર્કિંગ, રેમ્પ અને રેલિંગ સાથે પ્રવેશ દ્વાર, સર્વિસ ગેટ, પેનલ કમ સિક્યુરિટી રૂમ, ટોયલેટ બ્લોક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે.

