ઓસ્ટ્રેલિયા વિઝાના નામે યુવાન પાસેથી 16 લાખની ઠગાઇ : પોલીસ કાર્યવાહી શરૂ
કલોલના એક યુવાનને ઓસ્ટ્રેલિયા જવાના સ્વપ્નમાં 16 લાખ રૂપિયાનો ઠગાવટનો શિકાર બનવાનો બનાવ સામે આવ્યો છે. આ યુવાનએ પોતાના ઓસ્ટ્રેલિયા વિઝા અને વર્ક પરમિટ માટે 16 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હતું. જોકે, બેંગકોક એરપોર્ટ પર વિઝાની વેલીડિટી ચકાસણીએ ખોટી વિઝાની હકીકત સામે લાવી, અને યુવાનને પરત ફરવું પડ્યું.
અમદાવાદના નારોલ બ્રિજ નીચે રાધેક્રિષ્ણા બિઝનેસ સેન્ટરમાં મેન્ગેટો ઇન્ફર્મેટિક પ્રા.લી.ના નામે વિદેશના વિઝા અપાવવાનું કામ કરતા દંપતિ જિગ્નેશ ભાઉશેઠ રાઠોડ અને તેની પત્ની જયા રાઠોડ વિરૂધ્ધ કલોલમાં રહેતા અને મુળ હિંમતનગર તાલુકાના સાણોદરના વતની મેહુલકુમાર જયંતિલાલ પટેલે કલોલ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવાયુ છે કે આ ઘટના મુજબ, એજન્ટ દંપતિએ ઓસ્ટ્રેલિયાના વિઝા અને વર્ક પરમિટ મેળવવા માટે 16 લાખ રૂપિયા લઇને ખોટા વિઝા આપ્યા હતા. દંપતિએ જણાવ્યું હતું કે, બેંગકોક જઇને ઓસ્ટ્રેલિયા જવાનું કહેવાયું હતું, પરંતુ બેંગકોક એરપોર્ટ પર વિઝાની વેલીડિટી ચકાસણી પછી જાણવા મળ્યું કે આ વિઝા વેલિડ નથી. આ કારણે, યુવાન મેહુલ પટેલને બેંગકોકથી પરત ફરવું પડ્યું હતું.
દંપતિએ પૈસા પરત ન આપતાં છેતરપિંડી આચરી હતી. ત્યાર બાદ, જીજ્ઞેશ રાઠોડે યુવાનને ન્યૂઝીલેન્ડ માટે વિઝા કરાવી આપવાનું વચન આપ્યું અને મેડિકલ સર્ટિફિકેટ સહિતના ડોક્યુમેન્ટ માંગ્યા. છતાં, વિઝા આપવાનું ટાળી રહ્યા હતા.લાંબા સમય પછી, વિઝા ન મળતાં અને પૈસા પરત માગતાં, દંપતિએ યુવાનને ચેક આપ્યો, પરંતુ બેંકમાંથી અપૂરતા બેલેન્સના શેરા સાથે પરત ફર્યો હતો. આમ આ દંપતિએ વિઝા આપવા બાબતે છેતરપિંડી આચરી હોવાનું જણાતાં યુવાને તેમની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ બનાવની ફરિયાદ કલોલ શહેર પોલીસ મથકમાં નોંધાવા છતાં, પોલીસે એજન્ટ દંપતિ સામે ગુનો દાખલ કરીને તપાસ કરી રહી છે.
