રાજકીય પક્ષો અને પ્રજા બંને સજાગ રહેશે તો જ ગામનું ભલું થશે

સાણંદ નગર પાલિકા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે ત્યારે રાજકીય પક્ષોમાં ચૂંટણીના ઉમેદવારોની પસન્દગીનો ધમધમાટ શરુ થઇ ગયો છે.ત્યારે છેલ્લા કેટલાક સમયથી સાણંદમાં પ્રવર્તતી વહીવટી અસ્થિરતા અને શહેરમાં વકરી રહેલ સમસ્યાઓ અને માળખાકીય સુવિધાઓના અભાવને કારણે શહેરીજનોમાં ભારોભાર રોષની લાગણી છે ત્યારે સાણંદ જેનો ગઢ ગણાય છે એવા સત્તા પક્ષ ભાજપને પણ આ ચૂંટણીમાં સજાગ રહેવાની જરૂર છે જયારે અન્ય પક્ષો કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી બંને માટે તો આમ પણ ભાજપના ગઢ ગણાતા સાણંદમાં ગાબડું પાડવું એ એક મોટી ચેલેન્જ જ છે.
સાણંદ નગરપાલિકા વિસ્તારમાં ગત ચૂંટણીમાં કરાયેલા વાયદા અને બતાવેલા દીવાસ્વપ્નો ભાજપે સત્તામાં આવ્યા બાદ સાત -સાત વર્ષેય પુરા કર્યા નથી , વધુમાં શહેરીજનોને જરૂરી એવી રોજબરોજની સુવિધાઓમાં પણ નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે જેમાં ગંદકી , ગટર વ્યવસ્થા અને ટ્રાફિક સમસ્યાઓ મુખ્ય છે અને એમાં વળી વેરા વધારો અને સૂચિત ગટર વેરાની વાત આ બધા મુદ્દા આ ચૂંટણીમાં ભાજપને હંફાવી શકે છે , વળી ગત ચૂંટણીમાં ચૂંટાયેલ બોડીના અંધેર વહીવટને કારણે પાલિકા તિજોરીનું તળિયા ઝાટક થવું અને પાલિકાને બેઠી કરવા લોકો પર કરબોજ લાદવાની ફરજ પડતા લોકોમાં ભારોભાર રોષ ભરેલો છે ત્યારે સત્તાપક્ષ ભાજપે ઉમેદવારોની પસન્દગીમાં ભારે સજાગ રહેવું પડશે તે નક્કી છે . સાણંદ પાલિકાનો દાટ વાળવામાં ભૂમિકા ભજવનાર એકેય કે તેના મળતિયાઓને જો ઉમેદવારી મળી તો પ્રજા પોતાનો મિજાજ બતાવે અને વર્ષોથી પંકાયેલા ભાજપના ગઢમાં ગાબડું પડે એવું પણ બની શકે. સાચી વાત છે જ્યાં કામ હોય ત્યાં સમસ્યાઓ પણ હોય પરંતુ આ સમસ્યાને સાંભળવા ગત ટર્મના કેટલા કોર્પોરેટરો પાલિકાએ ઉપસ્થિત રહેતા કે પોતાના વિસ્તારમાં લટાર મારી કેટલા સદસ્યોએ લોકોને હૈયા ધારણ આપી ?? પબ્લીકને સાંભળનાર જ કોઈ ના હોય એ પબ્લિકે મુકેલા વિશ્વાસનો ઘાત નહિ તો બીજું શું છે ? સમસ્યાઓ તો ઠીક પણ દેખીતો ભ્રષ્ટાચાર તમે કઈ રીતે ચલાવી શકો ? ચૂંટણીઓ જીતવા કોર્પોરેટ હાઉસ કરતા પણ ચડિયાતી સ્ટ્રેટેજી કરનાર સત્તાપક્ષ શું આવા ભ્રષટાચારીઓને ના શોધી શકે ? બધું ખબર હોવા છતાં જનતાની અને શહેરની ઘોર ખોદવી તે કેટલી અંશે યોગ્ય છે ? આ ના થવા દેવું હોય તો ઉમેદવારોની પસન્દગી કોઈ પણ શેહ શરમ વગર , યોગ્ય હોય તેનેજ ઉમેદવારી આપવી એ જરૂરી છે . હા ચોક્કસ આમાં પક્ષમાં રોષ ફાટી નિકળે તેવું બને પણ શહેરનું ભલું થશે .બીજી તરફ કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીની વાત કરીએ તો શહેર આટ આટલી સમસ્યાઓથી ઘેરાયેલું છે ત્યારે આ બંને પક્ષને સારા મુદ્દા મળી રહે તેમ છે પરંતુ આ મુદ્દાનો લાભ લેવા કે જનતાનો વિશ્વાસ જીતવા સૌથી મોટું પરિબળ છે સારા ઉમેદવારો . જો આ પક્ષો સ્વચ્છ પ્રતિભા ધરાવતા મજબૂત ચહેરા મેદાને ઉતારવામાં ઉણા ઉતર્યા તો એકેય પક્ષ પરિસ્થતિનો લાભ નહિ ઉઠાવી શકે કે લોકોના રોષને મતોમાં નહિ બદલી શકે .વધારાનો એક મુદ્દો કે ફેક્ટર ગણીએ તો તે છે અપક્ષ , શહેરમાં ચૂંટણીનો માહોલ જોતા કેટલાક યુવાઓ અપક્ષમાં ઝંપલાવે તેવું પણ ચિત્ર ઉભરી રહ્યું છે ત્યારે જો રાજકીય પક્ષો ઉમેદવારોની પસન્દગી થાપ ખાશે તો ભોગવવવાનું ચોક્કસ આવશે . પ્રજાની વાત કરીએ તો સાતેક વર્ષ પછી માંડ માંડ બાજી પ્રજાના હાથમાં આવી છે. આગામી 15 દિવસ ખરેખર પ્રજા માટે ખુબજ અગત્યના છે . ચૂંટણીમાં કોઈની શેહ શરમ વગર સ્થાનિક સ્વરાજની સંસ્થા એવી પાલિકામાં ખરેખર સ્થાનિક લોકોનું સ્વરાજ સ્થાપી શકે તેવા ઉમેદવારોને ચૂંટી લાવવા તે પ્રજાની ફરજ છે અને આ ફરજ જો પ્રજા નિભાવશે તો અને તો જ પ્રજાને પોતાના હક્કો મળશે કારણ ફરજ અને હક્ક એ સિક્કાની બે બાજુ છે જેમાં પહેલા ફરજ છે અને એનું પરિણામ જ હક્ક છે . જો આ ચૂંટણીમાં પ્રજા પોતાની ફરજ ચુકી તો પ્રજાને પોતાના હક્કો મેળવવા ફાંફા પડી જશે તે નક્કી છે .