સાણંદમાં આજથી 3 દિવસ આરોગ્યની 35 ટિમ લોકોના ઘરે જઈ આયુષ્યમાન કાર્ડ કાઢશે

રાજ્યમાં લોકોની આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ કરી દેવામાં આવી છે. અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJ) અંતર્ગત લોકોને નિ:શુલ્ક સારવાર માટે આયુષ્માન કાર્ડ કાઢવા તંત્ર દ્વારા અપીલ કરાઇ છે.
ત્યારે સાણંદ શહેરમાં આયુષ્યમાન કાર્ડ કાઢવામાં બાકી રહેલ લોકોને હેલ્થ વિભાગની ટીમ દ્વારા ટ્રેકિંગ કરી આજથી 3 દિવસ સુધી 80 કર્મીઓ શહેરના 7 વોર્ડના અલગ અલગ વિસ્તારમાં ફરશે અને લાભાર્થીઓના ઘરે ઘરે જઈ કાર્ડ કાઢવા માટે જરૂરી આધાર કાર્ડ, રેશનકાર્ડ, આવકનો દાખલો સહિત દસ્તાવેજની ચકાસણી કરી આયુષ્માન કાર્ડ કાઢવાની તેમજ ઇકેવાસી કરવાની કામગીરી કરશે. આ અંગે સાણંદ તાલુકા હેલ્થ ઓફિસર બી.કે.વાઘેલાએ જણાવ્યુ કે રૂ.4 લાખ થી ઓછી આવક ધરાવતા હોય અથવા રેશનમાં મફત અનાજ મળતું હોય તેવા લોકો જે આયુષ્માન કાર્ડથી વંચિત રહેલ હોય તેઓને નિયમ અનુસાર કાર્ડ કાઢવામાં માટે આરોગ્ય ટીમ દ્વારા લિસ્ટ અનુસાર આજથી 3 દિવસ સુધી 80 કર્મીઓ ઘરે જઈ આયુષ્માન કાર્ડ માટે રજીસ્ટ્રેશન સહિતની કામગીરી કરશે.
સાણંદ શહેરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત 100 ટકા આયુષ્યમાન કાર્ડ કાઢવાની લક્ષ્યસિદ્ધિ સુધી પહોંચાડવા માટે આરોગ્ય તંત્ર દ્વારા 3 દિવસની મેગા ડ્રાઈવ હાથ ધરી છે.
